અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનને લઈ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 24 કલાક ચાલી રહ્યું છે કામ
બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં, અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે ટ્રેન
અમદાવાદમાં 24 કલાક ચાલી રહ્યું છે કામ
સાબરમતી ખાતે મુખ્ય સ્ટેશન પણ તૈયાર
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમ્યાન સમાચાર સામે આવ્યા છે કે, અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 24 કલાક કામ ચાલી રહ્યું છે. આ સાથે અમદાવાદમાં સાબરમતી ખાતે મુખ્ય સ્ટેશન પણ તૈયાર થઈ ચૂક્યું છે. હવે નજીક ના સમયમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઈ જશે.
મુંબઈ-અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. PM મોદીના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 1,374.20 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે, જે કુલ જરૂરી જમીનના લગભગ 99 ટકા છે. મળતી માહિતી મુજબ, બુલેટ ટ્રેન ગુજરાત, દાદરા અને નગર હવેલી, મહારાષ્ટ્રમાંથી પસાર થશે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100 ટકા જમીન સંપાદન કરવામાં આવ્યું છે.
રેલવે મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ગુજરાતમાં 954.3 હેક્ટરમાંથી 943.53 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. જે રાજ્યમાં જરૂરી કુલ જમીનના 98.87 ટકા છે. જ્યારે દાદરા અને નગર હવેલીમાં 7.90 હેક્ટર જમીન અને મહારાષ્ટ્રમાં 430.45 હેક્ટરમાંથી 422.77 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કુલ 1,392.63 હેક્ટર જમીનની જરૂર છે. અત્યાર સુધીમાં લગભગ 1,374.20 હેક્ટર (99 ટકા) જમીન સંપાદિત કરવામાં આવી છે.
રેલ કોરિડોર પર કરાયો 32,937 કરોડ રૂપિયાનો ખર્ચ
2015માં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1,08,000 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો હતો. પરંતુ પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ જમીન સંપાદન અને તમામ કોન્ટ્રાક્ટ પેકેજોને અંતિમ સ્વરૂપ આપ્યા પછી અને સંબંધિત સમયમર્યાદા બાદ જ નક્કી કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર 31 ઓક્ટોબર, 2022 સુધીમાં 32,937 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
12 સ્ટેશનો પર હોલ્ટ રહેશે
સૂત્રોનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં જમીન સંપાદન અને કોન્ટ્રાક્ટને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબની સાથે-સાથે કોવિડ-19ના કારણે લાગેલા લોકડાઉનને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રભાવિત થયો છે. આ 508 કિમીના રૂટ પર હાઇ સ્પીડ ટ્રેનો 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ દરમિયાન 12 સ્ટેશનો પર હોલ્ટ રહેશે. જ્યારે પીક અવર્સમાં 20 મિનિટ અને નોન-પીક અવર્સમાં 30 મિનિટની ફ્રીક્વન્સી સાથે દરરોજ/એક દિશામાં 35 ટ્રેનો હશે. આ એક લિમિટેડ સ્ટોપ પ્રોજેક્ટ છે અને હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે ઓપરેશનલ કંટ્રોલ સેન્ટર સાબરમતી ખાતે સ્થિત હશે.
2017માં કરાયો હતો શિલાન્યાસ
દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ સપ્ટેમ્બર 2017માં અમદાવાદ ગુજરાતમાં શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી અને જાપાનના પૂર્વ વડાપ્રધાન દિવંગત શિન્ઝો આબેએ સંયુક્ત રીતે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.