ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. બુલેટ ટ્રેન માટે જે જમીન સરકાર દ્વારા સંપાદન કરવામાં આવી છે તેની ચુકવણીમાં ખેડૂતો માટે જંત્રીદરમાં વધારો કરવામાં આવ્યો છે. જંત્રીદરમાં 7 ગણા વધારાની રજૂઆત કરવામાં આવી હતી. 100થી વધુ ગામોને આ જંત્રીદર વધતા ફાયદો થશે.
8 ગામોમાં જંત્રીદરમાં કરાયો વધારો
7 ગણો વધારાની કરાઈ દરખાસ્ત
47 ખેડૂતોએ કુલ 30 પીટિશન કરી છે
સુરતના 8 ગામોમાં જંત્રીદરમાં વધારો કરાયો છે. જંત્રીના ભાવમાં 7 ગણા વધારાની દરખાસ્ત કરવામાં આવી હતી. ઓલપાડ, માંગરોળ, કામરેજના 8 ગામોનો સમાવેશ થાય છે. 100થી ઓછા ભાવ ધરાવતા ગામોમાં જંત્રીદરમાં વધારો કરવામાં આવ્યો છે.
સરકારી સમિતિએ કર્યો ભાવ વધારો
સરકારે રચેલી કમિટી દ્વારા નવો ભાવ નક્કી કરાયો છે. નવો ભાવ નકકી કરી સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આગામી મહેસૂલ મંત્રીની યોજાનાર બેઠકમાં કરાશે નિર્ણય
જમીન સંપાદનનની પ્રક્રિયા
બુલેટ ટ્રેન માટે કુલ 1380 હૅકટર જમીનની જરૂરિયાત છે અને હાલમાં જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે. જમીનની કુલ જરૂરિયાત પૈકી 45 ટકા જેટલી જમીન સંપાદિત થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માટે અત્યાર સુધીમાં 2200 જેટલા પરવાનગી કરાર થયા. જમીન સંપાદનની 55 ટકા જેટલી કામગીરી બાકી છે. ગુજરાત ખેડૂત સમાજનાં એક અંદાજ પ્રમાણે હજી લગભગ 4000 ખેડૂતોએ પોતાની જમીનો બુલેટ ટ્રેન માટે આપી નથી.
47 ખેડૂતોએ કુલ 30 પીટિશન કરી છે
બુલેટ ટ્રેન(મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલવે) પ્રોજેક્ટ માટેના જમીન સંપાદનની પ્રકિયા વિરૃદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં વધુ 47 ખેડૂતોએ કુલ 30 પીટિશન કરી છે. સુરત, વલસાડ, ભરૃચ જિલ્લના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે તેમની જમીનનું સંપાદન કાયદા પ્રમાણે થઈ રહ્યું નથી. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ આર. પંચોલની ખંડપીઠે રાજ્ય, સરકાર કેન્દ્ર સરકાર અને હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને નોટિસ પાઠવી વધુ સુનાવણી 22મી નવેમ્બર પર મુકરર કરી છે.
રાજ્ય સરકારે શું કર્યા છે આદેશ
અરજદાર ખેડૂતોની રજૂઆત છે કે વર્ષ 2013 ના જમીન સંપાદન કાયદા મુજબ બેથી વધુ રાજ્યોમાં ફેલાયેલા પ્રોજેક્ટ માટેનું જમીન સંપાદન કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારને છે. અમુક કિસ્સામાં તે રાજ્ય સરકારની મદદ લઈ શકે છે પરંતુ સંપૂર્ણ કામગીરી કેન્દ્ર સરકારના નામથી થવી જોઈએ. બુલેટ ટ્રેન માટેના જમીન સંપાદન માટે ગુજરાત સરકાર આદેશો જાહેર કરી રહી છે તે ગેરકાયદે છે.
ખેડૂતોની શું છે માંગ
જમીન સંપાદન માટે રાજ્ય સરકારે આપેલા આદેશો અને સૂચનાઓ રદ કરવાની માગણી ખેડૂતો તરફથી કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી અસરગ્રસ્ત ખેડૂતોને મળી રહેલું વળતર પણ ખૂબ ઓછું છે અને વળતર આપવામાં જમીનની બજારકિંમતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. રાજ્યમાં જંત્રીના દરોને વર્ષ 2011માં અપડેટ કરવામાં આવ્યા છે પરંતુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અરસગ્રસ્ત ખેડૂતોને નવા જંત્રીદર મુજબ વળતર મળી રહ્યું નથી. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે પણ રાજ્ય સરકારે આ પ્રોજેક્ટમાં જંત્રીદર અપડેટ ન કર્યા અંગે ટિપ્પણી કરી છે.
55 ટકા જમીન સંપાદન કરવાની બાકી
હજી 55 ટકા જમીન સંપાદન બાકી છે ત્યારે ગુજરાત ખેડૂત સમાજ કહે છે કે બાકી રહી ગયેલા ખેડૂતોને જ્યાં સુધી શહેરી વિસ્તારમાં બે ગણું અને ગ્રામ્ય વિસ્તારમાં 4 ગણું વળતર નહીં મળે ત્યાં સુધી ખેડૂતો પોતાની જમીનો નહીં આપે. બુલેટ ટ્રેનના જમીન સંપાદન કામમાં હજી અવરોધ આવી શકે છે કેમ કે ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોની અરજી ફગાવી દેતા તેઓ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. 19 સપ્ટેમ્બરે હાર્ઈ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જેની સુનાવણી હવે 22મી નવેમ્બરને દિવસે છે.
બુલેટ ટ્રેન વિશે જાણવા જેવુ
મુંબઈથી અમદાવાદ વચ્ચે 508.17 કિલોમિટરનો હાઈ-સ્પીડ રેલ કૉરિડોર બનશે.
જેના ઉપર હાઈ-સ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે.
મુંબઈ અને અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન બનાવવામાં આવશે જ્યાં આ ટ્રેન ઊભી રહેશે.
કુલ 508.17 કિલોમિટર અંતરમાંથી માત્ર 21 કિલોમિટરનો ટ્રેક જ જમીનમાં રહેશે જ્યારે બાકીનો ટ્રેક એલિવેટેડ હશે.
આ માટે જાપાન સરકાર સાથે ભારત સરકારે કરાર કર્યો છે.
જાપાન સરકાર રૂપિયા 88 હજાર કરોડનું ધિરાણ ભારતને 50 વર્ષ માટે 0.01 ટકાના દરે આપશે.
બાકીના પૈસા ભારતીય રેલવે બજાર કે સરકારની ગ્રાન્ટમાંથી ઊભા કરશે.
2014-15ના અંદાજ પ્રમાણે પ્રોજેકટનો ખર્ચ રૂપિયા 98 હજાર કરોડ થતો હતો.
હવે આ પ્રોજેક્ટ ખર્ચ રૂપિયા 1.8 લાખ હજાર કરોડ થઈ ગયો છે.
IIM અમદાવાદના એક અભ્યાસ પ્રમાણે આ પ્રોજેક્ટને વાયેબલ બનાવવા માટે દૈનિક એક લાખ પેસેન્જર મુસાફરી કરે તે જરૂરી છે.
તેનું ભાડું પ્રતિ પેસેન્જર રૂપિયા 4000થી 5000 હોય તો પ્રોજેકટ નફો કરતો થાય.
આ પ્રોજેક્ટ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી. પરંતુ જાપાન સરકારની ભલામણના આધારે કોન્ટ્રાકટ અપાયો છે.