શહેરના કતારગામ વિસ્તારના વસ્તા દેવી રોડ પર આજે બપોરે બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. અચાનક બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થવાને પગલે 2 વ્યક્તિ દટાયા હતા. જેમાં એકનું મોત નિપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સુરતમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થવાનો મામલો
એક વ્યક્તિનું દટાવાથી મોત થયું હોવાની આશંકા
બિલ્ડિંગ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું
નોંધનીય છે કે, 30 વર્ષ અગાઉ 2 માળના બિલ્ડિંગનું નિર્માણ કરાયું હતું. જે ઘણા સમયગાળાથી જર્જરિત હાલતમાં હતું. SMC દ્વારા બિલ્ડીંગ ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ નોટિસ ધ્યાને નહીં લેવાતા માલિકોએ બિલ્ડિંગ માટે કોઇ જ પ્રકારનો નિર્ણય લીધો નહોતો. અંતે શનિવારની બપોરે આ ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો હતો.
બિલ્ડિંગમાં એમ્બ્રોયડરીનું કારખાનુ ચાલતું હતું
ઉલ્લેખનીય છે કે, બિલ્ડિંગમાં એમ્બ્રોયડરીનું કારખાનુ ચાલતું હતું. આ દુર્ઘટનાનો પગલે આસપાસમાં રહેતા લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે, ગણતરીની મિનિટોમાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને રાહત કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.