દિલ્હીના બવાના વિસ્તારની જેજે કોલોનીમાં એક બિલ્ડિંગ ધરાશાયી થયાની ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. હજુ પણ લોકોની શોધખોળ ચાલુ જ છે.
દિલ્હીમાં ઇમારત ધરાશયી થવાની ઘટના
6 લોકો ફસાયા હોવાના અહેવાલ
અત્યાર સુધીના બે લોકોના મોત
ગુરુગ્રામ બાદ હવે દિલ્હીમાં એક ઈમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.
આ ઘટના દિલ્હીના બવાના વિસ્તારની જેજે કોલોનીમાં બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાં કાટમાળ નીચે દટાઈ જવાથી ચાર લોકોના મોત થયા છે. અગાઉ, પોલીસે જણાવ્યું હતું કે કાટમાળમાંથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના લોકોને બચાવવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. જો કે હજુ પણ લોકોની શોધખોળ ચાલુ છે.
કાટમાળ નીચે કુલ 6 લોકો ફસાયા હોવાના અહેવાલ
ડીસીપી આઉટર નોર્થ બ્રિજેન્દ્ર યાદવે આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઈમારતના કાટમાળ નીચે કુલ 6 લોકો ફસાયા હોવાના અહેવાલ છે, જેમાંથી 3 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
અત્યાર સુધીના બે લોકોના મોત
પોલીસે જણાવ્યું કે બચાવ કામગીરી માટે તાત્કાલિક ત્રણ જેસીબી બોલાવવામાં આવ્યા હતા. આ સાથે જ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાંથી બે મહિલાઓ ફાતિમા અને શહનાઝને બચાવી લેવામાં આવી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ મોકલી દેવામાં આવી હતી. પરંતુ તેમ છતાં એક બાળકી અને કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. જેમને બચાવી શકાયા નથી. હવે તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીની નજીક આવેલા ગુરુગ્રામમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. અહીં સેક્ટર 109માં અચાનક એક ફ્લેટની છત ધરાશાયી થઈ ગઈ, જેના કારણે અનેક પરિવારો તેની ઝપેટમાં આવી ગયા. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. ત્યાં ઘણા લોકો ઘાયલ થયા છે.
પોલીસે ઘટના અંગે માહિતી આપી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 2.45 વાગ્યે NIA પોલીસ સ્ટેશનની પોલીસને માહિતી મળી કે દિલ્હી જલ બોર્ડની પાસે એક ઈમારત પડી ગઈ છે. જેમાં કેટલાક લોકો દટાયા છે તો કાટમાળમાં બાળકો પણ દટાયા હોવાની માહિતી મળી હતી.
તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. આ ઈમારત રાજીવ રતન આવાસમાં બનાવવામાં આવી હતી. જ્યાં 300-400 જેટલા ફ્લેટ છે.