દેશના પહેલા મહિલા કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલુ સામાન્ય બજેટ રજૂ કર્યુ.
સામાન્ય બજેટમાં નિર્મલા સીતારમણે સમાજના તમામ વર્ગોની સાથે મહિલાઓનુ પણ ખાસ ધ્યાન રાખ્યુ છે. બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યુ કે, ''મહિલાઓના વિકાસ વગર દેશનો પણ વિકાસ ના થઇ શકે.''
'નારી તૂ નારાયણી' કહીને વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા જાહેરાત કરી કે, જનધન ખાતાધારક મહિલાઓને 5000 રૂપિયાના ઑવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે, સાથે જ મહિલાઓ માટે અલગથી 1 લાખ રૂપિયાના લોનની વ્યવસ્થા કરવામાં આવશે.
મહિલાઓ માટે શું છે બજેટમાં:
'નારી તુ નારાયણી' યોજના લોન્ચ કરાશે. વિવેકાનંદે કહ્યું હતું કે, દુનિયા ત્યાં સુધી ખુશ ન રહી શકે જ્યાં સુધી મહિલાઓની સ્થિતિમાં સુધારો ન થાય. એક ચકલી એક પાંખથી ઉડાન ન ભરી શકે.
- નિર્મલા સીતારમણે કહ્યુ કે, ''ભારતની વિકાસ ગાથામાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારીની એક સોનેરી ગાથા છે. હું એક કમિટીનો પ્રસ્તાવ મૂકી રહી છું, જે આ ભાગીદારી વધારવા માટે તેમનું સૂચન રાખશે. આપણે વધારેમાં વધારે મહિલાઓની ભાગીદારી સાથે પ્રગતિ કરી શકીએ છીએ. આ સરકાર મહિલા આંત્રપ્રેન્યોરશિપને પ્રમોટ કરી રહી છે. મુદ્રા, સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ સ્કીમ હેઠળ પ્રાથમિકતા આપી રહી છે જેમાં મહિલાઓને આ યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે.''
- 2014માં મોદી સરકાર આવ્યા પછી જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલવાનું શરૂ કરવામાં આવ્યુ. જેમાં મહિલાઓનુ જનધન ખાતા છે, પરંતુ જો તેમના ખાતામાં પણ રૂપિયા ના હોય તો પણ રૂપિયા ઉપાડી શકે છે. અત્યાર સુધી મહિલાઓ પોતાના જનધન ખાતામાંથી માત્ર 2000 રૂપિયા ઉપાડી શકતી હતી, જેણે વધારીને 5000 રૂપિયા કરવામાં આવી છે. આ સુવિધાને ઓવરડ્રાફ્ટની સુવિધા કહેવાય છે.
- નિર્મલા સીતારમણે કહ્યુ કે, ''દેશને ઘણી ઉંચાઇઓ સુધી લઇ જવાનો છે. ઉજ્જવલા યોજના હેઠળ દેશની મહિલાઓને ધૂમાડાથી છૂટકારો મળ્યો છે, અમે મહિલાઓને સન્માન માટે શૌચાલય બનાવ્યા છે.''
ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં મહિલાઓએ રેકોર્ડ બ્રેક મતદાન કર્યુ છે. 78 મહિલા સાંસદ તરીકે પસંદ થઇ છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે.