નાણાપ્રધાન નિર્મલા સીતારામણે તેમના ત્રીજા બજેટમાં હેલ્થકેર સેક્ટરને મોટી ભેટ આપી છે. નાણાપ્રધાન હેલ્થકેર બજેટમાં 137 ટકાના વધારાની જાહેરાત કરી છે.
PM આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના'ની જાહેરાત, છ વર્ષ માટે ₹64,180 કરોડની ફાળવણી
'મિશન પોષણ 2.0' કરાશે લોન્ચ
કોરોના વાયરસની વેક્સિન માટે 35 હજાર કરોડ રૂપિયાની ફાળવણી
નાણાપ્રધાન એક મોટો બુસ્ટર ડોઝ આપતા હેલ્થકેર સેક્ટરના બજેટમાં 137 ટકાનો જંગી વધારો કર્યો છે. એટલે કે રુ.64,181 કરોડનો વધારો કર્યો છે. આ વધારા સાથે હેલ્થકેર સેક્ટરનું કુલ બજેટ રુ 2.32 લાખ કરોડ થયું છે. બજેટમાં 35 હજાર કરોડ કોરોનાની રસી માટે ફાળવાયા છે અને જરૃર પડતા હજુ પણ વધારે પૈસા ફાળવવાની નાણાપ્રધાને ખાતરી આપી છે.
નાણાપ્રધાને કહ્યું કે સમગ્ર દેશભરમાં કોરોનાની રસી રોલઆઉટ કરવામાં આવશે જેનાથી વર્ષે 50,000 બાળકોના જીવ બચી જશે. નાણાપ્રધાને બજેટમાં પ્રદૂષણને નાથવા માટે 42 શહેર કેન્દ્રો માટે રુ 2,217 કરોડની તો જલ જીવન મિશન માટે રુ.287 લાખ કરોડની દરખાસ્ત મૂકી છે.
આત્મનિર્ભર ભારતની જાહેરાત
નાણાપ્રધાને આત્મનિર્ભર આરોગ્ય ભારત યોજનાની જાહેરાત કરી. તેમણે આ યોજના માટે આગામી છ વર્ષ માટે રુ 64,180 કરોડના બજેટની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ બજેટ રાષ્ટ્રીય આરોગ્ય મિશનથી અલગ હશે. આ યોજના હેઠળ ગામોથી માંડીને શહેરો સુધી આરોગ્ય સુવિધાઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
પોષણ અભિયાન-મિશન પોષણ 2.0
પોષણ પર ખાસ ધ્યાન મૂકવામાં આવશે. 112 જિલ્લામાં પોષણ પર ખાસ મૂકવાની સરકારની યોજના છે. જલ જીવન મિશન યોજના લોન્ચ કરવામાં આવશે. તમામ શહેરી યુનિટોની સાથે આની પર કામ થશે. 500 અમૃત શહેરોમાં સેનિટાઈઝેશન પર કામ કરાશે. તેને માટે રુ 2.80 લાખ કરોડનો ખર્ચ થશે. નાણાપ્રધાને કહ્યું કે સ્વચ્છ ભારતનો સંકલ્પ જારી છે. શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0 પર 1.41 લાખ કરોડનો ખર્ચ થશે.