આગામી 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આગામી નવું બજેટ મધ્યમ વર્ગ પર બોજારૂપ બની શકે તેવી સંભાવના છે. જો ટાસ્કફોસે ટેક્સસ્લેબમાં ફેરફારની કરેલી ભલામણો નાણામંત્રાલય સ્વીકારી લેશે તો મધ્યમવર્ગ પર ટેક્સનું ભારણ વધી શકે છે જ્યારે ઉચ્ચ મધ્યમવર્ગને રાહત મળી શકે છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે, આ ફેરફારથી ઉચ્ચ મધ્યમવર્ગને કેટલો ફાયદો થશે અને નિમ્ન મધ્યમવર્ગેને કેટલું નુકસાન થશે.
આ ભલામણનો સ્વીકાર થઈ શકે છે
આગામી 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ બજેટમાં સરકાર તરફથી વર્તમાન ત્રણ ટેક્સ સ્લેબની જગ્યાએ ચાર ટેક્સ સ્લેબનો પ્રસ્તાવ મૂકવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે, આ ફેરફારથી મધ્યમવર્ગને ફાયદો થશે કે નુકસાન થશે. ટાસ્ક ફોર્સે ઓગસ્ટ-2019માં રજૂ કરેલા પોતાના અહેવાલમાં 4 ટેક્સ સ્લેબનો પ્રસ્તાવ મૂક્યો હતો.
એ મુજબ અઢી લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કમાણી વાળા વ્યક્તિઓ પર 10 ટકા ટેક્સનો દર રાખવામાં આવી શકે છે. એ પ્રમાણે 10 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયા સુધીની આવકવાળા નાગરિકો પર 20 ટકા ટેક્સ, અને 20 લાખથી 2 કરોડ રૂપિયા સુધીની આવકવાળા નાગરિકો પર 30 ટકા વાર્ષિક ટેક્સનો પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. ઉપરાંત જે લોકોની વાર્ષિક આવક 2 કરોડ રૂપિયાથી વધારે હોય તેમના પર 35 ટકા ટેક્સનો પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે.
હાલ આ પ્રમાણે છે ટેક્સ દર
વર્તમાન ટેક્સ દરની વાત કરીએ તો હાલમાં ટેક્સના ચાર સ્લેબ ચલણમાં છે. જેમાં નિમ્ન મધ્યમવર્ગના કરદાતાઓને ઘણો લાભ મળી રહો્ છે. વર્તમાન ટેક્સ સ્લેબના દર પર એક નજર કરીએ તો અઢી લાખથી 5 લાખ સુધીની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડે છે. એ પ્રમાણે 5 લાખથી 10 લાખ સુધીની આવક ધરાવતા લોકોએ 20 ટકા ટેક્સ ચૂકવવો પડે છે. જ્યારે 10 લાખ કે તેથી વધારે આવક ધરાવતા લોકોએ 30 ટકા ટેક્સ ચૂકવવાની જોગવાઈ છે.
ઉપરાંત જ્યારે 1 ફેબ્રુઆરી 2019ના દિવસે મોદી સરકારના પ્રથમ કાર્યકાળનું વચગાળાનું બજેટ રજૂ કર્યુ ત્યારે તત્કાલિન નાણામંત્રી પીયૂષ ગોયલે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર રિબેટ એટલેકે છૂટ જાહેર કરી હતી. જો કે એ છૂટનો લાભ એ જ લોકો લઈ શક્યતા કે જેમણે રિટર્ન ફાઈલ કર્યા હતા. જો આપની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા સુધીની છે અને તેમ છતાં જો તમે રિટર્ન નથી ભરતા તો આવકવેરા વિભાગની નોટિસ આપને મળી શકે છે. આવકવેરામાં મુક્તિનો લાભ લેવા માટે તમારે પોતાની વાર્ષિક આવક જાહેર કરવી પડે છે. 5 લાખ સુધીની આવક પર વેરામુક્તિનો લાભ તમને રિબેટ તરીકે મળશે. આપને જણાવી દઈએ કે, વર્તમાનમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપરાંત કલમ-80 સી હેઠળ કુલ 2 લાખ રૂપિયાની છૂટ મળે છે.
મધ્યમવર્ગ પર આ થશે અસર
જો ટેક્સ સ્લેબમાં ફેરફાર અંગે ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવેલી ભલામણને સરકાર સ્વીકારી લે તો તેની સૌથી વધારે અસર મધ્યમવર્ગ પર થશે. કેમ કે 5 લાખની વાર્ષિક આવક ધરાવતા મધ્યમવર્ગીય લોકો 5 ટકા સ્લેબ પ્રમાણે ટેક્સ ચૂકવતા હતા. તેમને હવે 10 ટકા પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ જે લોકો 5લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક ધરાવે છે તેમને ફાયદો થશે કેમ કે હાલ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો 20 ટકા ટેક્સ ચૂકવી રહ્યા છે.
નવો પ્રસ્તાવ લાગુ થશે તો 10 લાખની આવક ધરાવતા લોકો 10 ટકા જ ટેક્સ ચૂકવવો પડશે. આથી સ્પષ્ટ છે કે, 5 લાખથી 10 લાખ વચ્ચેની આવકવાળા લોકોને ટેક્સમાં 10 ટકાની રાહત મળશે. તેવી જ રીતે હાલ 10 લાખથી વધારે આવક પર 30 ટકા ટેક્સની જોગવાઈ છે પરંતુ જો નવા પ્રસ્તાવ પ્રમાણે 10 લાખથી 20 લાખ રૂપિયા વચ્ચેની આવક 20 ટકાના સ્લેબ નીચે લાવવામાં આવે તો 20 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને પણ ટેક્સમાં 10 ટકા રાહત મળી શકે છે.
ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગાની ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં નવા પ્રસ્તાવને સ્વીકારવામાં આવે છે કે કેમ અને લાગુ થયા પછી મધ્યમવર્ગ તેને સ્વીકારે છે કે કેમ?