આજે દેશભરમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરાઇ રહી છે. વૈશાખ માસની પૂર્ણિમાએ બુદ્ધ પૂર્ણિમાના રૂપે ઉજવવામાં આવે છે. આ વખતે પૂર્ણિમા 18 મે એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે.
વૈશાખ માસની પૂર્ણિમાનું અલગ જ મહત્વ છે. લાખો શ્રદ્ધાળુઓએ આજે હરિદ્વાર, પ્રયાગરાજ અને નાસિકમાં ગંગા આસ્થાની ડૂબકી લગાવી. પ્રયાગરાજમાં લોકો ગંગામાં ડુબકી લગાવી ગંગા માંની પૂજા અર્ચના કરી રહ્યા છે.
હરિદ્વારમાં સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. બુદ્ધ પૂર્ણિમાએ ભગવાન ગૌતમ બુદ્ધની જયંતીના રૂપે ઉજવાય છે. આજના દિવસે જ ભગવાન બુદ્ધનો જન્મ અને બૌદ્ધ જ્ઞાન થયું હતું. તેથી બૌદ્ધ ધર્મ અનુયાયીઓ માટે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ વિશેષ હોય છે. બુદ્ધ પૂર્ણિમાએ વૈશાખી પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે. માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધ વિષ્ણુના 9માં અવતાર છે.
ઘણા વર્ષો સુધી બોધગયામાં બોધિ વૃક્ષ નીચે તપસ્યા કર્યા બાદ જ્યારે ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઇ તો એ દિવસ આખી સૃષ્ટિ માટે ખાસ બની ગયો, જેને આજે વૈશાખ પૂર્ણિમા નામથી ઓળખવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાને દિવસે ગંગામાં સ્નાનનું અનેરું મહત્વ છે. આ દિવસે ગરીબોને ભોજન કરાવવું અને કપડા દાન કરવું જોઇએ. આ દિવસે બૌદ્ધ ધર્મના લોકો ઘર અને મંદિરોમાં ભગવાન બુદ્ધની મૂર્તિને ધૂપ-દીપ કરી અને મીણબત્તી સળગાવી ભગવાન બુદ્ધની પ્રાર્થના કરે છે.
જોકે, ઘણી જગ્યાએ એવી માન્યતા પણ છે કે, ભગવાન વિષ્ણુ પણ આ દિવસે કૂર્મ અવતારમાં પેદા થયા હતા. તેથી પણ આ દિવસનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે વૈશાખ પૂર્ણિમાએ નદીમાં સ્નાન કરવું અને દાન-પૂણ્ય કરવું ઘણું જ ફળદાયી છે. સત્યનારાયણની કથા કરવી પણ શુભ મનાય છે. સાથે ભગવાન શિવની પૂજા પણ કરવી જોઇએ.
શાસ્ત્રો મુજબ, વૈશાખ પૂર્ણિમાએ ગંગા નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. કહે છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.