આપ સાથે ગઠબંધન તોડી BTP હવે એકલા હાથે ચુંટણી લડશે એવો ખુલાસો આદિવાસી નેતા છોટુ વસાવાએ કર્યો છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો
AAP અને BTP વચ્ચે ગઠબંધન તૂટ્યું
ટોપીવાળા AAPના લોકો દેખાતા નથીઃ છોટુ વસાવા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા એકબાદ એક રાજકીય ભૂકંપ સર્જાઇ રહ્યાં છે. ત્યારે ચૂંટણી પહેલા ગુજરાતમાં વધુ એક રાજકીય ભૂકંપ આવ્યો. AAP કોંગ્રેસનો દાવ કરે એ પહેલા કોંગ્રેસે AAPનો દાવ કરી નાખ્યો. કેજરીવાલના પ્રવાસના દિવસે જ AAPમાં રાજકીય ભૂકંપ આવી ગયો. AAP અને BTP વચ્ચે ગઠબંધન ટૂંક સમયમાં જ તૂટી ગયું. જેના લીધે ભરૂચ અને નર્મદાની બે મહત્વની બેઠકો પર તેની અસર થશે. મહત્વનું છે કે, છોટુ વસાવા અને કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતા પવન ખેરા વચ્ચે બારણે મહત્વની બેઠક થઇ હતી. થોડા દિવસ અગાઉ જ પવન ખેરા જગડીયા આવીને છોટુ વસાવા સાથે બેઠક કરી ગયા હતા. ત્યારે ગુજરાતના નેતાઓની જાણ બહાર જ આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું. આથી હવે કહી શકાય કે, રાજ્યમાં એકવાર ફરી 2017ની ચૂંટણીનું પુનરાવર્તન થઇ શકે છે. કારણ કે 2017માં પણ BTPએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.
ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી: છોટુ વસાવા
આ ગઠબંધન તૂટવા પાછળના જવાબદાર કારણોમાં AAPના નેતા મનમાની કરતા હોવાની વાત સામે આવી છે. આ અંગે છોટુ વસાવાનું કહેવું છે કે, 'ટોપીવાળા AAPના લોકો દેખાતા નથી.' AAPના નેતાઓ BTPનું કહેલું ન માનતા ગઠબંધન તૂટ્યું. આથી, BTP હવે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2017માં BTPએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું.
ભાજપ અને આપ બંને ભેગા થઈ જશે: છોટુ વસાવા, BTP સંયોજક અને ઝઘડિયા ધારાસભ્ય
છોટુ વસાવાનું કહેવું છે કે AAPની કામગીરી જોઈને અમે મુલાકાત કરી હતી. અને ગઠબંધન જે કર્યું તેમાં તેઓ ટોપી પહેરીને આવી જાય છે. જે અમારી સંસ્કૃતિ નથી અમે પાઘડી વાળા છે. આ સાથે મને એવું લાગે છે કે અમિત શાહને ડર છે કે ગુજરાતમાં ચૂંટણી હારી જશે એ માટે RSSના કહેવાથી કેજરીવાલની ટોપી સેનાને ઉતાર્યા છે. અને મને એવું લાગે છે કે તેઓ છેલ્લે ભેગા થઈ જશે. જે ટોપીઓએ પુરા દેશને બરબાદ કર્યાં છે આ ટોપીવાલેથી ચેતવા જેવુ છે. આમ આડકતરી રીતે તેઓ એક હોય એમ મને લાગે છે એટલે અમને ખબર પડી છે અમે આપ સાથે ગઠબંધન નહીં કરીએ એવી સાફ વાત કરી છે. જો કોઈ અન્ય પાર્ટીઓ કહેશે તો ગઠબંધનનું વિચારીશું પરંતુ હાલ તો અને એકલા હાથે ચૂંટણી લડીશું તેવો મત વ્યક્ત કર્યો હતો.
1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે થયું હતું ગઠબંધન
ઉલ્લેખનીય છે કે, તારીખ 1 મેના રોજ ગુજરાતમાં AAP અને BTP વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના ચંદેરીયાના વ્હાઇટ હાઉસ ખાતે BTPનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન પહેલા અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે, 'રાજકારણમાં નવા ઉદયની શરૂઆત થઇ છે. અગાઉ જેમની સાથે ગઠબંધન કર્યું તેમણે કામ ન કર્યું. ગરીબોનું કલ્યાણ થાય તે જ અમારુ લક્ષ્ય.