લખનઉ: આગામી લોકસભા ચૂંટણી માટે સપા અને બસપામાં ગઠબંધન બાદ સૌની નજર હવે બસપાના અધ્યક્ષ માયાવતીના જન્મદિવસ પર ટકેલી છે. બંને પાર્ટીઓ કેટલી સીટો પરથી લડશે તેનું તો એલાન થઈ ચૂક્યું છે. પણ કઈ પાર્ટી કઈ સીટ પરથી ચૂંટણી લડશે તેના પર હજુ મહોર લાગી નથી.
ત્યારે એવી આશા સેવવામાં આવી રહી છે કે માયાવતી પોતાના જન્મદિવસે સીટ શેરિંગનું એલાન કરી શકે છે. એટલું જ નહીં સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ માયાવતી અને અખિલેશ યાદવની સંયુક્ત રેલીના કાર્યક્રમો પણ નક્કી થઈ ચૂક્યા છે. બંને નેતાઓ 18 રેલીઓ કરશે. આ સિવાય અલગથી જનસભાને પણ સંબોધન કરશે.
માયાવતીએ પણ જલ્દી એલાન કરવાનું જણાવ્યું હતું. ત્યારે માયાવતીનો જન્મદિવસ દર વર્ષે જન કલ્યાણકારી દિવસ તરીકે ઉજવાય છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવાશે.
એટલું જ નહીં માયાવતીની પુસ્તક મેરે સંઘર્ષમય જીવન કા સફરનામાનું પણ વિમોચન થશે. ત્યારે આવતીકાલે તેમના જન્મદિવસ નિમિત્તે અનેક સહયોગી દળો પણ સામેલ થશે.