BSNL અને MTNL જોરદાર સંકટમાંથી પસાર થઇ રહી છે. આ કંપનીઓની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે એની પાસે સેલેરી આપવા માટે પણ પૈસા નથી. દેશની ઘણી મોટી પાર્ટીઓ આ કંપનીઓ માટે ચિંતા વ્યક્ત કરી રહી છે.
ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિ. (બીએસએનએલ) પર તોળાઇ રહેલા આર્થિક સંકટના ખતરા વચ્ચે કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે બીએસએનએલને રિચાર્જ કરવા માટે કેન્દ્ર સરકાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) અમદાવાદ અને અમેરિકન એકાઉન્ટિંગ કંપની મેસર્સ ડેલોઇટની સેવા લઇ રહી છે અને બીએસએનએલ તેમજ એમટીએનએલના રિસ્ટ્રક્ચરિંગ અને રિવાઇવલ માટેનો પ્લાન તૈયાર થઇ રહ્યો છે.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સાંસદ રમાદેવી, રાજીવપ્રતાપ રૂડી અને ફારુક અબ્દુલ્લા સહિત કેટલાક અન્ય નેતાના પૂરક સવાલોનો જવાબ આપતાં રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે આ કંપનીઓની ભલામણો અને બોર્ડની મંજૂરી બાદ બીએસએનએલ અને મહાનગર ટેલિફોન નિગમ લિ. (એમટીએનએલ)ને ખોટમાંથી ઉગારવા માટે એક વ્યાપક રિવાઇવલ પ્લાન તૈયાર થઇ રહ્યો છે. બીએસએનએલ અને એમટીએનએલ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યાં છે. આ કંપનીઓની આર્થિક સ્થિતિ એટલી કફોડી છે કે તેમની પાસે કર્મચારીઓના પગાર કરવા માટે પણ પૈસા નથી.
દેશના કેટલાય રાજકીય પક્ષોએ બીએસએનએલ અને એમટીએનએલની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ટેલિકોમ માર્કેટમાં જબરદસ્ત સ્પર્ધા વચ્ચે બીએસએનએલ ખાનગી ટેલિકોમ કંપનીઓની તુલનાએ સ્પર્ધાનો સામનો કરવામાં નિષ્ફળ ગઇ છે અને તે ૪ જી સેવા આપવામાં પણ નિષ્ફળ જતાં તેમના ગ્રાહકો અન્ય ખાનગી ટેલિકોમ કંપની તરફ વળી ગયા છે. જ્યારે ૪ જી સ્પેક્ટ્રમની ફાળવણી થતી હતી ત્યારે આ કંપનીઓ સામેલ થઇ ન હતી, કેમ કે તેનાથી એવો સંદેશ જાત કે સરકાર તેમને સપોર્ટ કરી રહી છે.