સરકારની માલિકીની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) નું નુકસાન વર્ષ 2019 ના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં 2.5 ગણું વધીને 39,089 કરોડ રૂપિયા થયું છે. સંચાર રાજ્યમંત્રી સંજય ધોત્રેએ સંસદમાં જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપનીને ગયા નાણાકીય વર્ષ 2018-19માં 14,904 કરોડ રૂપિયાની ખોટ કરી છે. જો કે સરકારે સ્પષ્ટતા કરી છે કે આ કંપનીઓનું ખાનગીકરણ કરવાની સરકાર યોજના ધરાવતી નથી.
આ દરમિયાન ધોત્રેએ રાજ્યસભામાં ગુરુવારે એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં કહ્યું હતું કે BSNL અને MTNLનું ખાનગીકરણ નહિ કરવામાં આવે. તેમણે કહ્યં કે સરકાર ખોટ કરી રહેલ કંપનીઓ માટે રિવાઇવ પેકેજ જાહેર કરી રહી છે.
નોંધનીય છે કે ગયા વર્ષે BSNL અને MTNLનું રિવાઇવ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પેકેજ હેઠળ VRS યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. રિવાઇવ પેકેજ ની જાહેરાત હેઠળ સરકારે બોન્ડ વડે આશરે 15000 કરોડ ભેગા કરવાની યોજના ઘડી છે.
આ ઉપરાંત સરકાર 4 વર્ષની મુદતમાં 38000 કરોડની સંપત્તિનું મુદ્રીકરણ કરવાની યોજના બનાવી રહી છે. અહેવાલો મુજબ આશા રાખવામાં આવે છે કે ખોટમાં ચાલી રહેલી આ બંને કંપનીઓ સ્વૈચ્છીક સેવાનિવૃત્તિ યોજના (VRS યોજના) પ્રમાણે લગભગ 8800 કરોડ રૂપિયા બચાવી શકશે.
BSNLના લગભગ 78569 કર્મચારીઓની અને MTNLના 14000 કર્મચારીઓની VRS યોજના હેઠળ પસંદગી કરવામાં આવી છે. એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે કામ કરતા કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થવાથી કંપનીઓ પર આર્થિક બોજ ઓછો થશે કારણ કે કંપનીના પગાર બિલમાં ધરખમ ઘટાડો થશે પરિણામે નાણાકીય મજબૂતી પ્રાપ્ત થશે.