દેશની પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થા ફાયનાન્સીયલ એક્સપ્રેસના દાવા મુજબ ભારતની સરકારી ટેલિકોમ કંપનીઓ BSNL અને MTNL વર્ષોથી કરોડો રૂપિયાની ખોટ ખાઈ રહી હતી. ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે આ કંપનીઓને બેઠી કરવા ૭૪૦૦૦ કરોડના ફંડિંગની અરજી કરી હતી પરંતુ સરકારે આ અરજી ઠુકરાવી દીધી છે અને નાણામંત્રાલયે આ કંપનીઓને તાળા મારવાની પ્રક્રિયાનો આરંભ કરી દેવાની સુચના આપી દીધી છે.
ભારત સરકારના નાણા મંત્રાલયે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન વડે BSNL અને MTNL કંપનીઓને રૂપિયા ૭૪૦૦૦ કરોડના જંગી ખર્ચે ફરીથી ઉભી કરવાની અરજીને ઠુકરાવી દીધી હતી. નાણા મંત્રાલયે તેના બદલે આ બંને PSU કંપનીઓને બંધ કરવાની કવાયત હાથ ધરી છે.
સુત્રોને મળેલી માહિતી મુજબ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને ચેતવણી આપી હતી કે જો આ કંપનીઓને ૭૪૦૦૦ કરોડના “રીવાઈવલ પેકેજ”ના ખર્ચે ફરીથી ઉભી નહિ કરવામાં આવે તો તેમને હંમેશ માટે બંધ કરવાનો ખર્ચ એટલે કે clousre cost ૯૫૦૦૦ કરોડ જેટલો થશે. આ ૯૫૦૦૦ કરોડનો ખર્ચ એટલે થશે કારણ કે દેશમાં BSNLના ૧.૬૫ લાખ કર્મચારીઓ છે જેમને કંપનીને બંધ કરતા તેમને નિવૃત્તિના ભથ્થા તરીકે તથા કંપનીનું અન્ય દેવું વગેરે રકમ ચુકવવામાં મોટો ખર્ચ થશે.
BSNL અને MTNLના કર્મચારીઓનું વર્ગીકરણ
જો કે તપાસ કરતા જાણવા મળ્યું કે આ બંને કંપનીઓને બંધ કરવામાં ૯૫૦૦૦ કરોડ જેટલો ખર્ચ નહિ થાય. આ બંને કંપનીઓમાં મુખ્ય ૩ પ્રકારના કર્મચારીઓ છે.
૧. સીધા BSNL અથવા MTNL વડે ભરતી થયેલા કર્મચારીઓ : આ કર્મચારીઓ ખુબ જુનીયર સ્ટાફ છે. તેઓનો પગાર પણ મોટા ભાગે એટલો વધુ નથી અને મોટાભાગે તેઓ ટેક્નીશ્યન તરીકે નોકરી કરે છે. આ ઉપરાંત તેમની સંખ્યા પણ ખુબ ઓછી છે. કુલ સ્ટાફના ૧૦% લોકો જ આ કર્મચારીઓ છે.
૨. ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન સર્વિસના ITS અધિકારીઓ : આ અધિકારીઓને VRS આપવાની જરૂર નથી કારણકે તેમને સરળતા થી સરકારના બીજા વિભાગમાં લઇ લેવામાં આવશે.
૩. સરકારના બીજા વિભાગો અને બીજા PSU માંથી BSNL કે MTNLમાં આવેલા કર્મચારીઓ : આ કર્મચારીઓ મોટી સંખ્યામાં છે અને તેમને નિવૃત કરવાના કારણે તેમને સારી VRSની રકમ આપવી પડશે.
સરકારના મતે જો cost of closureને આ ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે તો તેનો આંકડો ૯૫૦૦૦ કરોડ કરતા ઘટી જશે. સુત્રોના મતે બંને કંપનીઓને તેમના કર્મચારીઓની ઉપર બતાવેલ રીત પ્રમાણે ગણતરી કરીને તેનાં આંકડા સરકારને સબમિટ કરવાની સુચના આપવામાં આવી છે જેથી સાચી cost of closure કેટલી થશે તેનો આંકડો મેળવી શકાય.
અહી એ પણ ઉલ્લેખનીય છે કે બંને કંપનીઓનું ડીસઇન્વેસ્ટમેન્ટ એટલે કે ખાનગી કંપનીને વેચાણ પણ શક્ય નથી કારણ કે ટેલિકોમ ઉદ્યોગમાં મંદીના પગલે કોઈ આ કંપનીને ખરીદવા તૈયાર નથી.
શું હતી રીવાઈવલની યોજના?
નાણાકીય વર્ષ ૨૦૧૯માં BSNL કંપનીની કુલ આવકના ૭૭% રકમ કર્મચારીઓના પગારમાં ખર્ચાઈ જતી હતી. આ માટે કંપનીની નિવૃત્તિની વય ૬૦ વર્ષથી ઘટાડીને ૫૮ વર્ષ કરી દેવાની હતી. આ ઉપરાંત જો કંપનીને 4G સ્પેક્ટ્રમ ફાળવવામાં આવે તો તે માર્કેટમાં બીજા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને ટક્કર આપી શકે અને વર્ષ ૨૦૨૪ સુધીમાં નફો કરતી કંપની બની જાય તેવી અપેક્ષા રાખવામાં આવી હતી.
રીવાઈવલ પેકેજનો ૭૪૦૦૦ કરોડનો ખર્ચ આ રીતે નક્કી કરવામાં આવ્યો હતો.
અંદાજીત ખર્ચ
ક્યાં ખર્ચ કરવાનો હતો?
૨૯૧૮૨ કરોડ
છુટા થઇ રહેલા કર્મચારીઓના VRS માટે
૧૦૯૯૩ કરોડ
વયમર્યાદાથી નિવૃત થઇ રહેલા કર્મચારીઓના પેન્શનમાં
૨૦૪૧૦ કરોડ
4G સ્પેક્ટ્રમની ફાળવણી માટે
૧૩૨૦૨ કરોડ
4G ટેકનોલોજી માટે ખરીદવા પડતા સાધનોનો ખર્ચ
આ ખર્ચ બાદ ક્રમશ: BSNLની ખોટ ઘટતી જશે અને ૨૦૨૪માં નફો થશે તેવી કલ્પના કરવામાં આવી હતી. જો કે નિષ્ણાતોના મતે આ પગલાઓ છતાં પણ આ કંપનીઓ વડે તેમની ખોટ ઓછી કરવી અને નફો કરવો ખુબ મુશ્કેલ કામ હતું.