વડોદરાના આરીફ પઠાણ બાદ બીજો જવાન શહીદ થયો છે. સંજય સાધુ નામનો જવાન શહીદ થયો છે. આસામમાં બાંગ્લાદેશ બોર્ડર પર BSFમાં ફરજ બજાવતા અને વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલ ભગવતી કૃપા સોસાયટીમાં સંજય સાધુ શહીદ થયા છે.
શનિવારની રાત્રે બોર્ડર પર સંજય સાધુ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને પશુની તસ્કરી થઇ રહી હોવાના સમાચાર મળતા તેઓ દોડ્યા હતા. તે સમયે પગ લપસી જતા તેઓ નાળામાં પડી જતા શહીદ થયા હતા.
પરિવારમાં શોકની લાગણી પ્રસરી
આ ઘટનાની જાણ થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. બે દીકરી અને એક દીકરાના પિતા આસામમાં શહીદ થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે. જેને લઇને જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરે પરિવારની મુલાકાત લીધી હતી. તો મેયર, સાંસદ અને ધારાસભ્ય સહિતના નેતાઓએ પરિવારને મળીને સાંત્વના આપી હતી.
રાષ્ટ્રીય સન્માન સાથે જવાનને અંતિમ વિદાય અપાશે
આસામમા શહીદ થયેલા જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ વડોદરામાં લવાઇ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય સન્માન સાથે જવાનને અંતિમ વિદાય આપવામાં આવશે. જવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપવામાં આવશે.
સંજય સાધુએ PI તરીકે બજાવી રહ્યા હતા ફરજ
સંજય સાધુ 9 વર્ષ પહેલા બીએસએફમાં જોડાયા હતા. તેમનું પીએસઆઇમાંથી પીઆઇ તરીકે પ્રમોશન થયું હતું. તેઓ હાલ બાંગ્લાદેશની બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ સમયે પશુધનની તસ્કીર મોટાપાયે થતી હોવાના કારણે તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ શહીદ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમયગાળામાં જ વડોદરાનો બીજો જવાન શહીદ થયો છે. આ અગાઉ આરીફ પઠાણ અખનુર સેક્ટરમાં પાકિસ્તાન સાથે અથડામણમાં ગોળી વાગતા તેઓ શહીદ થયા હતા. ત્યારે આ બીજી ઘટના બનતા સમગ્ર શહેરમાં ગમગીની ફેલાઇ જવા પામી છે.