કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ હવે નવી સરકાર બનવાને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના બીએસ યેદિયુરપ્પા આજે મુખ્યમંત્રી પદની શપથ લેશે. યેદિયુરપ્પાએ આજે રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
યેદિયુરપ્પાએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને જણાવ્યું છે કે તેઓ આજે સાંજે 6 વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે. રાજ્યપાલ સાથે મુલાકાત કરીને બીએસ યેદિયુરપ્પાએ 105 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર સોંપ્યો. જેમાં વિધાયક દળના નેતા તરીકે તેમને પસંદ કર્યાં છે. શપથગ્રહણમાં સામેલ થવા કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
કર્ણાટકમાં આખરે નાટકનો અંત આવ્યો છે. જેમાં હવે યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રી બની શકે છે. આજે બપોરે 3.30 કલાકે જે.પી. નડ્ડા સત્તાવાર જાહેરાત કરી શકે છે. બીજી તરફ રાજ્યપાલે પણ યેદિયુરપ્પાને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે. મળતી વિગતો મુજબ યેદિયુરપ્પાના નામ પર સહમતિ પણ બની ગઈ છે અને આજે સાંજે 6 વાગ્યે યેદિયુરપ્પા શપથ લઈ શકે છે.
સ્પીકરે ત્રણ બળવાખોર ધારાસભ્ય અયોગ્ય ઠેરવ્યાં
જો બળવાખોરની વાત કરીએ તો સ્પીકરે ગુરૂવારે સાંજે ત્રણ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યાં છે. સ્પીકરે આ ત્રણ ધારાસભ્યોને વિધાનસભાના હાલના કાર્યકાળ સુધી અયોગ્ય (ગેરકાયદે) જાહેર કર્યાં છે. આ ધારાસભ્યો હાલના વિધાનસભાના કાર્યકાળ પૂર્ણ થવા સુધી એટલે કે 2023 સુધી અયોગ્ય રહેશે. અયોગ્ય જાહેર થનારામાં કોંગ્રેસના બે બળવાખોર રમેશ જારકિહોલી અને મહેશ કુમાતલ્લી સિવાય એક અપક્ષ ઉમેદવાર આર શંકર છે.