વડોદરાઃ ગુજરાતની અંદર નવા રોગે દેખા દિધા હતા. જેમા છોટાઉદેપુરનો ૨૫ વર્ષિય યુવાન ભ્રુસેલોસીસ નામના રોગમાં સપડાયો હતો. આ દર્દી વડોદરાના ડભોઇની વિનાયક હોસ્પીટલ ખાતે હાલ સારવાર હેઠળ છે. વધુ પરિક્ષણ માટે તેના લોહી નમુના વડોદરા લેબોરેટી ખાતે મોકલી દેવાયા છે. તેમજ આ વાતની આરોગ્ય વિભાગને જાણ થતા આખરે મેડિકલ ટીમ પણ એક્શનમાં આવી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર મુળ છોટાઉદેપુર ખાતેનો રેહવાસી મોઇન ખુરેશી ઉ.૨૫ વર્ષિય આ યુવાનને ૧ મહિના અગાઉ તેને એકાએક તાવ અને પગ ના જોઇન્ટમાં અસહ્ય દુખાવો થવા પામ્યો હતો. ત્યાર બાદ તેને છોટાઉદેપુરની હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ ૧૦ દિવસ જેટલો સમય વિતી જવા છતા પરિસ્થિતીમાં સુધારો ન થતા તેમને ડભોઇની વિનાયક હોસ્પીટલમાં એડમીટ કરાયો હતો.
ત્યારબાદ આ દર્દીની સારવાર વિનાયક હોસ્પિટલના ડૉ.વિશાલ ચૌહાણ તેમજ રિતેશ પરમાર દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ તો આ રોગ ડેન્ગ્યુ લાગતો હતો. જેને લઇ આ દર્દીને ડેન્ગ્યુની સારવાર આપવામાં આવી હતી. પરંતુ સમય જતાં પણ આ દર્દીની પરિસ્થિતિમાં કોઈપણ જાત નો સુધારો ન આવતા આખરે ફરજ પરના તબીબો દ્વારા વડોદરા ખાતે આવેલ પ્રાઈમ ઈનફેક્શન કેર ખાતે આ દર્દીની તપાસ કરવામાં આવી હતી.
જે તપાસ દરમિયાન આ દર્દીને ભ્રુસેલોસીસ નામનો રોગ બહાર આવ્યો હતો. મુખ્યત્વે આ રોગ પશુમાં વધુ ફેલાતો રોગ છે. માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશ્યો તે પણ એક જાણવા જેવી વસ્તુ છે. આ બાબતની જાણ ડભોઇ આરોગ્ય કેન્દ્રને થતાં તેઓ પણ માનવ શરીરમાં ભ્રુસેલોસિસ નામના રોગથી ચોંકી ઉઠ્યા હતા. આ રોગ ફોરેન કન્ટ્રીમાં વધુ જોવા મળે છે. હાલ તો આ દર્દી સારવાર હેઠળ ડભોઇની વિનાયક હોસ્પીટલ ખાતે છે અને હાલ તેની તબીયત સુધારા પર છે.