સુરત શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા પાલનપુર જકાત નાકા નજીક શનિવારની સાંજે એક BRTS બસે એક કિશોરને અડફેટે લેતા તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું. અકસ્માતની આ ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ઉગ્ર થયેલા લોકોએ બસના કાચ ફોડ્યા હતા.
આ બનાવ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર, શનિવાર મોડી સાંજે પાલનપુર પાટીયા નજીક BRTS બસના ચાલકે સાયકલ સવાર બે મિત્રોને અડફેટે લેતા એક મિત્રનું કચડાઈ જવાથી મોત થયું હતું.
આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બસના કાચ ફોડ્યા હતા. નજીકના વિસ્તારની પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના શરીરને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાની કામગીરી હાથ ધરી હતી. ઘટના બાદ સિટી બસ ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જેથી ઉશ્કેરાયેલા ટોળાએ બસના કાચ તોડ્યા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 24, 2019
નોંધનીય છે કે, કાળનો કોળિયો બનેલો કિશોર ઉગત નહેર પર રહેતો 13 વર્ષીય મેહુલ રબારી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ બાદ માસૂમ કિશોરના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
વારંવાર બનતી આ પ્રકારની ઘટના સામે ક્યારે લેવાશે પગલા
રાજ્યભરમાં આ પ્રકારની બસ ચાલકની બેદરકારીની ઘટનાઓ પ્રકાશમાં આવી છે, ત્યારે તેની ગંભીરતાને ધ્યાને રાખીને આગામી સમયગાળામાં કોઇ કડક અને ચોક્કસ નિયમો બનાવવામાં આવે અને બેફાન બસ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી અને મોટા દંડની જોગવાઇ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.