અમદાવાદમાં 9મી ડિસેમ્બરની બપોરે રૂટ નંબર 15ની BRTS બસ અખબારનગર અંડરપાસના પિલરમાં ઘૂસી ગઈ હતી, જો કે એક પણ પેસેન્જર બસમાં ન હોવાથી કોઈ જાનહાની નહતી થઈ. આ ઘટનામાં બસની સામે બસ લેવામાં આવશે.
એક સમયે પેસેન્જરમાં સફાઈ, નિયમિતતા અને ઝડપના મામલે વખણાયેલી BRTS બસ સર્વિસ હવે અકસ્માતો સર્જનારી બની હોઈ શહેરમાં અમુક અંશે અળખામણી બની છે, તેમાં પણ ડિસેમ્બર મહિનાના પ્રારંભમાં અખબારનગર અંડરપાસ પાસે પિલર સાથે BRTS બસ અથડાતાં તેનાં બે ફાડિયાં થયાં તે અકસ્માત તો હજુ પણ લોકોની નજર સમક્ષ તરવરી રહ્યો છે. આ ગંભીર અકસ્માત સર્જનાર કંપનીને ઓછામાં ઓછો રૂ. ત્રણ લાખનો દંડ ફટકારાશે તેમજ બીઆરટીએસના સત્તાવાળાઓને બસની સામે બસ એટલે કે નવી બસ આપવી પડશે.
૯ ડિસેમ્બરે બપોરના ૨.૧૫ વાગ્યે અખબારનગર અંડરપાસ પાસે ગંભીર અકસ્માત
અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તાથી આરટીઓના રૂટ પર દોડતી BRTSની રૂટ નંબર-૧૫ની બસનો તા. ૯ ડિસેમ્બરે બપોરના ૨.૧૫ વાગ્યે અખબારનગર અંડરપાસ પાસે ગંભીર અકસ્માત થયો હતો. આ બસના ડ્રાઇવર રમેશ મકવાણાએ ૭૦ની સ્પીડમાં બસ હંકારતાં બસનો આગળનો ભાગ ધડાકાભેર અખબારનગર અંડરપાસના પિલર સાથે અથડાયો હતો, જેના કારણે બસ આગળના ભાગમાં સાતથી નવ ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી, જેમાં બસના આગળના ભાગનો તો ખુરદો બોલાઈ ગયો હતો અને ડ્રાઇવર રમેશ મકવાણાના પગમાં ફ્રેકચર પણ થયું હતું, જ્યારે એક સુપરવાઇઝર પણ ઈજાગ્રસ્ત થયો હતો. તે વખતે બસનું સ્પીડમીટર ૭૦ કિ.મી. પર અટકી ગયું હતું તેમજ સ્ટિયરિંગ લોક થયું હતું. હજુ પણ ડ્રાઇવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અખબારનગર અંડરપાસના પિલર સાથે અથડાયેલી બીઆરટીએસ બસના અકસ્માતને નિહાળવા અંડરપાસ અંદર અને ઉપરના ભાગે લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. સમગ્ર શહેરમાં આ અકસ્માત દિવસભર ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
અકસ્માત પહેલાં પ્રગતિનગર બસસ્ટેન્ડ પર ઊતરી ગયા
જોકે ઇસ્કોન ચાર રસ્તાથી અંડરપાસ સુધીના નવ કિ.મી.ના અંતરમાં ૧૦ જેટલાં બસસ્ટેન્ડ આવે છે, પરંતુ આ બસ ઊપડી તેની પાંચ મિનિટ પહેલાં બે નવી ઈ-બસ આ રૂટ પર દોડતી હતી, તેમાં મોટા ભાગના પેસેન્જર ચઢ્યા હતા. અકસ્માત સર્જનારી બસમાં થોડાક પેસેન્જર બેઠા હતા, જે અકસ્માત પહેલાં પ્રગતિનગર બસસ્ટેન્ડ પર ઊતરી ગયા હતા. આમ, પેસેન્જરના અભાવે મોટી જાનહાનિ ટળી હતી.
જોકે અકસ્માતના પગલે બસનું સ્પીડ ગવર્નન્સ અને તેની બોડીની ગુણવત્તા પણ વિવાદાસ્પદ બની હતી, જોકે BRTS સત્તાવાળાઓએ અકસ્માત સમયે બસની સ્પીડ ૪૨ કિ.મી.ની હતી તેવો દાવો તે વખતે કર્યો હતો. ઉસ્માનપુરા ખાતેના BRTS કન્ટ્રોલરૂમમાં બસની સ્પીડ ચેક કરાયા બાદ ૪૨ની સ્પીડ હોવાનું જાણવા મળ્યું હોવાનો તંત્રનો દાવો હતો, જોકે હજુ ડ્રાઇવર હોસ્પિટલમાં સારવાર હેઠળ હોઈ અકસ્માતનું સાચું કારણ જાણવા મળ્યું નથી. અંડરપાસ પાસે યુ-ટર્ન લેવા ડિવાઇડર તોડેલું હોઈ બસ િડવાઇડર સાથે અથડાવાના બદલે સીધી પિલરમાં ઘૂસી ગઈ હતી, જોકે બસની બોડી કે પતરું પાતળું હોવાની બાબતને BRTSના સત્તાવાળાઓએ ફગાવી દીધી છે.
બસ સામે બસ એટલે કે નવી બસ લેવાની જોગવાઈ
દરમિયાન અકસ્માત સર્જનારી બસ ચાર્ટર્ડ સ્પીડ કંપનીની હોઈ આ કંપનીને ઓછામાં ઓછો રૂ. ત્રણ લાખનો દંડ ફટકારવાની ફાઇલ તૈયાર કરીને BRTSનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર સમક્ષ મુકાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ફાઇલમાં કોન્ટ્રાક્ટર પાસેથી બસ સામે બસ એટલે કે નવી બસ લેવાની જોગવાઈનો પણ સમાવેશ કરાયો છે, જોકે શહેરમાં સફાઈ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળના કારણે તંત્ર વ્યસ્ત રહ્યું હોઈ હવે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.