સુરતના ઉધના વિસ્તારમાં રહેતા રાજસ્થાની યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.આપઘાત કરતા પહેલા યુવકે લખેલી સુસાઇડ નોટ અને મિત્રને કરેલ વિડીયો કોલ પોલીસ તપાસમાં સામે આવ્યો છે.
ઉધના વિસ્તારમાં રહેતા રાજસ્થાની યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
આપઘાત કરતા પહેલા યુવકે લખેલી સુસાઇડ નોટ
મૃતક અને તેના બનેવી વચ્ચે રૂપિયાની લેતીદેતી મામલે ચાલતી હતી માથાકૂટ
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા રાજસ્થાની યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.આપઘાત કરતા પહેલા યુવકે લખેલી સુસાઇડ નોટ અને મિત્રને કરેલ વિડીયો કોલ પોલીસ તપાસમાં સામે આવ્યો છે. જેમાં મૃતક અને તેના બનેવી વચ્ચે રૂપિયાની લેતીદેતી મામલે ચાલી આવતી માથાકૂટ અને ગામના જ અન્ય ત્રણ ઇસમો દ્વારા હાથઉછીનાં લીધેલા નાણાં સામે વધુ રૂપિયા માટે દબાણ કરતા યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.ચાર પૈકીના એક શખ્સ દ્વારા વધુ રૂપિયા કઢાવવા યુવક પાસેથી લોન ઉપર આઈફોન મોબાઈલની ખરીદી કરાવવામાં આવી હતી. જે મોબાઈલ પણ લઈ લેવામાં આવતા ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.
મૂળ રાજસ્થાનનો વતની અને સુરતના ઉધના સ્થિત આશાનગર ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા દિનારામ જાટે ગત 22મી ડિસેમ્બરના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.ઉધના પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.પોલીસે રાજસ્થાન રહેતા પરિવારને બાદમાં આ અંગેની જાણકારી આપી હતી.જે બાદ પરિવાર સુરત આવી પોહચતા લાશનો કબ્જો પરિવારને સોંપવામાં આવ્યો હતો.બીજી તરફ આ ઘટનામાં નવો વળાંક સામે આવતા પોલીસ ચોંકી ઉઠી છે.આપઘાત કરતા પહેલા દીનારામ ઝાટે એક ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી મિત્રને વિડીયો કોલ કર્યો હતો.જે સુસાઇડ નોટ અને વીડિયો કોલમાં પોતાનો જ બનેવી રૂપિયા માટે દબાણ કરતો હોવાની હકીકત જણાવી.
ધંધાકીય લેતીદેતી મુદ્દે બનેવી અને મૃતક વચ્ચે માથાકૂટ ચાલતી હતી
બંનેએ વાપી ખાતે ફર્નિચર નું કામ લીધું હતું.જેમાં ધંધાકીય લેતીદેતી મુદ્દે બનેવી અમરારામ ઉર્ફે અમરચંદ જાટ અને મૃતક દીનારામ જાટ વચ્ચે માથાકૂટ ચાલી આવી હતી.જેના કારણે બનેવી અમરારામ રૂપિયા માટે અવારનવાર દીનારામ પર દબાણ કરતો આવ્યો હતો.દીનારામ પાસે બનેવી અમરારામ ઉર્ફે અમરચંદ જાટ દ્વારા રૂપિયા આઠ લાખની પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપવામાં આવી હતી.બીજી તરફ ગામના જ ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના જાટ પાસેથી લીધેલા રૂપિયા 15 હજારની સામે દીનારામે 75 હજાર ચૂકવી દીધા હતા.જે બાદ પણ તેની પાસે વધુ 1.50 લાખની માંગ કરવામાં આવતી હતી.આમ બનેવી અમરામ અને ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના જાટ, અંતારામ બારીક સહિત રામ રતન જાટ દ્વારા આપવામાં આવી રહેલા માનસિક ત્રાસથી કંટાળી પોતે આ પગલું ભરી રહ્યો હોવાની હકીકત વીડિયોમાં જણાવી હતી.
પોલીસે ચાર વ્યક્તિઓ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી
ઉધના પોલીસે ગત રોજ બનેવી સહિત ચાર લોકો વિરુદ્ધ દુષપ્રેરના અને બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસે જણાવ્યુ છે કે ,સમગ્ર કેસની હાલ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસને તપાસમાં લાગશે કે નાણાં ધીરધાર અધિનિયમ હેઠળનો પણ ભંગ થયો છે તો તે મામલે પણ પોલીસ કલમોનો ઉમેરો કરી આગળની તપાસ હાથ ધરશે...
આરોપીઓ દ્વારા ચાર ગણા રૂપિયા મૃતક પાસે વસુલ કરવાનો પ્રયાસ કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે ઉધના પોલીસે આ મામલે આરોપીઓ સામે બળજબજરીપૂર્વક રૂપિયા પડાવવા અને દુષપ્રેરનાનો ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.પરંતુ મામલાની ગંભીરતા અને પરિવાર સહિત સંબંધી દ્વારા કરવામાં આવેલ આક્ષેપોને જોતા આરોપીઓ દ્વારા ચાર ગણા રૂપિયા મૃતક પાસે વસુલ કરવાનો પ્રયાસ કર્યો છે.જ્યાં આગામી દિવસોમાં ઉધના પોલીસ આ મામલે આરોપીઓ સામે વ્યાજખોરી અંગે કાર્યવાહી કરે તો નવાઈ નહિ...