બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:15 PM, 28 May 2024
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોવિડ-19ને ધ્યાનમાં રાખીને આગામી રોગચાળાનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. WHO એ વૈશ્વિક તૈયારીઓને મજબૂત કરવાના હેતુથી સભ્ય દેશોના મંત્રીઓ અને અન્ય ટોચના પ્રતિનિધિઓ સાથે સોમવારે તેની વાર્ષિક બેઠક શરૂ કરી. આ દરમિયાન બ્રિટનના એક અગ્રણી વૈજ્ઞાનિકે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે આગામી રોગચાળો માથા પર છે અને તેને ટાળી નહીં શકાય.
ADVERTISEMENT
અહેવાલ મુજબ, બ્રિટનના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વેલેન્સે ચેતવણી આપી છે કે હજુ એક રોગચાળો આવવાનું નિશ્ચિત છે અને સરકારે અત્યારથી જ તેની તૈયારીઓ પર ધ્યાન આપવું જોઈએ. વેલેન્સે બ્રિટનની આગામી સંસદીય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહ્યું કે જે પણ આગામી સરકાર આવે એને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનાં ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
ADVERTISEMENT
વેલેન્સે કહ્યું કે કોઈ પણ ઉભરતા ખ્તાને જલ્દીથી જલ્દી ઓળખવા માટે આપણે "વધુ સારી સર્વેલન્સ સિસ્ટમ્સ" સ્થાપિત કરવાની જરૂર છે. તેમણે 2021 માં G7 નેતાઓને પોતાના સંદેશનું પુનરાવર્તન કરતા તાત્કાલિક પ્રતિક્રિયાના મહત્ત્વ પર ભાર આપ્યો. વેલેન્સનું માનવું છે કે જો આપણે કોઈ બીમારીની પહેલેથી જ ઓળખ કરી લઈએ, તો રસી અને સારવાર દ્વારા તેને અટકાવી શકાય છે. આનાથી COVID-19 રોગચાળા દરમિયાન લાદવામાં આવેલા સખત પ્રતિબંધોથી બચી શકાય છે. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જો કે આ સુધારાઓ શક્ય છે, છતાં હજુ પણ આ સુધારાઓ માટે મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય "સંકલન"ની જરૂર છે.
તેમણે કહ્યું કે 2023 આવતા સુધીમાં, G7 એ તમામ મુદ્દાઓને 'એક રીતે ભૂલી ગયું' હતું જે તેને 2021માં ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, "આપણે જાણીએ છીએ કે આપણી પાસે એક સેના હોવી જોઈએ, એટલે નહીં કે આ વર્ષે યુદ્ધ થવાનું છે, પરંતુ આપણે જાણીએ છીએ કે એક રાષ્ટ્ર તરીકે આપણને જે જોઈએ એનો આ એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આપણે રોગચાળા સામે લડવાની તૈયારીને પણ એ જ સંદર્ભમાં જોવી જોઈએ. આને સરળ વસ્તુ તરીકે ન જોવું જોઈએ કે જયારે રોગચાળાના કોઈ સંકેતો ન હોય તો પછી શું કરવું... કારણ કે રોગચાળાના કોઈ સંકેત નહીં હોય."
તેમની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે WHO આગામી રોગચાળા માટે બેઠક કરી રહ્યું છે. જો કે, બેઠકમાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રોગચાળાને લઈને એક સંધિ પર હસ્તાક્ષર કરવાનો છે પરંતુ ડ્રાફ્ટ તૈયાર ન કરી શકવાને કારણે તે અટકી ગયો છે. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એધનોમ ઘેબ્રેયસસે ભારપૂર્વક જણાવ્યું છે કે શુક્રવાર સુધીમાં આના પર એકસાથે ન આવવું એ નિષ્ફળતા નથી અને આ અઠવાડિયે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી આગળનો માર્ગ તૈયાર કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.