પેરિસના ઐતિહાસિક ચર્ચ નોટ્રેડ્રેમ કેથેડ્રલમાં લાગેલી આગના કારણે ક્ષતિગ્રસ્ત થયેલી ઇમારતના પુનઃ નિર્માણ માટે દુનિયાભરમાંથી ડોનેશન મોકલવામાં આવી રહ્યું છે. ડોનેશન આપનાર લોકોમાં નવ વર્ષની એક બાળકી કેટિલિન પણ સામેલ છે. કેટિલિને પોકેટ મનીમાંથી બચાવેલા બધા પૈસા ૨૬૩ રૂપિયા ઇમારતના પુનઃ નિર્માણમાં દાન કર્યા છે. આ બાળકી લોકો માટે એક મિશાલ બની છે અને સોશિયલ મીડિયા પર યુઝર્સ તેનાં વખાણ કરી રહ્યા છે.
ફ્રાન્સિસી સરકારે નોટ્રે ડ્રેમના પુનઃ નિર્માણ માટે અભિયાન ચલાવ્યું. આ માટે ચાર સંગઠન બનાવાયાં છે. કેટિલિને ફાઉન્ડેશન-ડુ-પેટ્રિમોઈનમાં ૨૬૩ રૂપિયા એક પત્ર સાથે મોકલાયા છે. પત્રમાં ટ્રે-ડેમ કેથેડ્રલને ખૂબ જ જલદી પુનઃ નિર્માણ કરવાની અપીલ કરાઇ છે. કેટિલિને લખ્યું કે રેડિયો પર નોટ્રેડ્રેમમાં આગ લાગવાની ઘટના અંગે સાંભળ્યું. હું મદદ કરવા ઇચ્છતી હતી. આ માટે હું ૨૬૩ રૂપિયાનું દાન કરી રહી છું. મને ખબર છે કે આ બહુ મોટી રકમ નથી, પરંતુ આ મારી નાનકડી કોશિશ છે. આશા છે કે તેને બનવામાં વધુ સમય નહીં લાગે.
બ્રિટનમાં રહેતી કેટિલિને ચર્ચમાં આગ લાગવાના સમાચાર રેડિયો પર સાંભળ્યા હતા. કેટિલિનના પિતા સાઇમન હેન્ડલે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે જ્યારે તેની પુત્રીને આ સંકટ અંગે જાણવા મળ્યું તો તે ખૂબ જ પરેશાન થઇ. જ્યારે તેને જાણ થઇ કે આ ઇમારત ૮૫૦ વર્ષ જૂની છે તો તેણે તેના માટે દાન આપવનું નક્કી કર્યું.
કેટિલિનના પિતા કહે છે કે તે એક બ્રિલિયન્ટ છોકરી છે, જે માણસો અને જાનવરોની દેખભાળ માટે હંમેશાં આગળ રહેવા ઇચ્છે છે. ફાઉન્ડેશન-ડુ-પેટ્રિમોઈનની પ્રવક્તા લોરેન લેરીએ જણાવ્યું કે સંગઠનને એક દિવસમાં હજારો ચેક મળી રહ્યા છે. ડોનેશન સાથે જોડાયેલા આ અભિયાનમાં અત્યાર સુધી દુનિયાભરના લોકો પાસેથી ૧૧૪૦ કરોડ રૂપિયાથી વધુ રકમ દાનમાં મળી ચૂકી છે.