યુપીના ગોંડામાં ભારતીય કુશ્તી સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કૈસરગંજના ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહે AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને ભગવાન રામના વંશજ ગણાવ્યા હતા.
ભાજપના સાંસદે આપ્યું વિવાદીત નિવેદન
ઓવૈસીને ગણાવ્યા ભગવાન રામના વંશજ
વિપક્ષ પર કહી આ વાત
યુપીના ગોંડામાં ભારતીય કુશ્તી સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કૈસરગંજના ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહે AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને ભગવાન રામના વંશજ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ ઈરાની નથી, પણ ક્ષત્રિય છે. બૃજભૂષણે આ વાત ત્યાર કહી જ્યારે તે પોતાના દિકરા અને ભાજપ ઉમેદવાર પ્રતીક ભૂષણ સિંહના સમર્થનમાં જાહેરસભાને સંબોધન કરી રહ્યા હતા. તેમણે લોકોને પોતાના દિકરાના પક્ષમાં વોટ કરવાની અપીલ કરી અને વિરોધીઓ પર બરાબરના પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જો પ્રતિક જીતી જશે તો પીએમ મોદીની પડખે ઉભો રહેશે અને જો કોઈ અન્ય જીતશે તો આતંકવાદ માટે કામ કરશે.
હિજાબ વિવાદ પર શું બોલ્યા ભાજપ સાંસદ
ભાજપ માટે વોટ માગતા બૃજભૂષણે હિજાબનું સમર્થન કરનારા લોકોને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, આ પ્રકારના મુદ્દા પર વાત કરીને લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ થઈ રહી છે.
ઓવૈસીને ગણાવ્યા ભગવાન રામના વંશજ
બૃજભૂષણે કહ્યું કે, ઓવૈસીનો ઝઘડો અખિલેશ યાદવ સાથે કેમ છે, અખિલેશ તો મુસ્લિમોના મત માગે છે. અખિલેશ બાપને દગો આપ્યો, કાકાને દગો આપ્યો. દગો આપવું તેમનું કામ છે. ઓવૈસી અને અખિલેશની લડાઈ એટલા માટે છે કે, મુસ્લિમની લીડરશિપ કોના હાથમાં હોવી જોઈએ. આ સાથે જ તેમણે ઓવૈસીને પોતાનો મિત્ર ગણાવતા કહ્યું કે, જ્યાં સુધી મને જાણકારી છે, તે જૂના ક્ષત્રિય છે અને તે ભગવાન રામના વંશજ છે. ઈરાનવાળા નથી.