રસ્તા,પુલ, પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી એ સરકારની ફરજ છે. પરંતુ શહેરમાં વિશાળકાય પૂલોના નિર્માણમાં વ્યસ્ત સરકાર અંતરિયાળ ગામડાઓમાં સુવિધા પૂરી પાડવાનું જાણે ભૂલી ગઈ છે. ક્યાંક કામ ચાલે છે તો મંથર ગતિએ ચાલે છે. જેના કારણે નાગરિકોને લાંબાસમયથી હાલાકી ભોગવી પડી રહી છે. જો આ પરેશાની માંથી અરવલ્લી જિલ્લાના લોકોએ મુક્તિ મેળવવા પ્રયાસ શરૂ કરી દીધો છે.
દરખાસ્ત કાગળ પર રહી 40 વર્ષ જૂની માગણી
ગ્રામજનોએ હાથ ધર્યું પુલ બનાવવાનું કાર્ય
22 કિલોમીટરનું અંતર થઇ જશે 5 કિલોમીટરનું
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલ ગામના નાગરિકો છેલ્લાં 40 વર્ષથી પુલની માગણી કરીને થાકેલા ગ્રામજનોની માગણી નથી તો તંત્રએ સાંભળી કે નથી સરકારે સાંભળી. જ્યારે ગ્રામજનોને લાગ્યું કે પારકી આશાથી સદા નિરાશા જ સાપડશે એટલે તેમણે પોતાનો માર્ગ જાતે જ બનાવવાનું શરૂ કરી દીધું. કેમ કે, ગ્રામજનોને હવે વાત્રકનદી પરથી પસાર થવા માટે સરકારની મદદનું ઓશિયાળું રહેવું પાલવે તેમ નથી.
છેલ્લા 4 દિવસથી કામ કરાયું શરૂ
આથી ગ્રામજનોએ જાતે જ મૂડીદાન અને શ્રમદાન કરીને વાત્રક નદી પર માટીથી પુલ બનાવવાનું શરૂ કરી દીધું છે.ખડોલ ગામ સહિત અન્ય 10 ગામના લોકોએ શ્રમયજ્ઞ આદરીને ડીપ બનાવાનું કામ શરૂ કર્યું છે. લોકોએ હવે તંત્રની મદદની રાહ જોયા વગર જ તિકમ, પાવડા અને જેસીબીથી છેલ્લા 4 દિવસથી કામ શરૂ કરી દીધું છે.
16 કરોડના ખર્ચે વાત્રક નદી પર પુલ બનાવવાની કરાઇ છે દરખાસ્ત
ખડોલ ગામ નજીકથી વાત્રક નદી પસાર થાય છે અને નદી આ નદીને સામે કાંઠે બાયડ તાલુકાનું રડોદરા ગામ આવેલું છે. .એ ગામ જવા માટે ધનસુરા થી બાયડ ફરી 22 કિલો મીટરનું અંતર કાપીને જવું પડે છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા રજૂઆત બાદ તંત્ર દ્વારા 16 કરોડના ખર્ચે વાત્રક નદી પર પુલ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. પણ આ દરખાસ્ત આજે પણ માત્ર કાગળ પર જ છે.
22 કિલોમીટરને બદલે 5 કિલોમીટરનું જ રહેશે અંતર
લોકો હવે તંત્રની રાહ જોઈ વધારે મુશ્કેલી વેઠવા માગતા નથી. આથી ખડોલ અને બીજા 10 જેટલા ગામના લોકોએ જાતે જ પુલ બનાવવાનું શરૂ કરી દીધું છે. જ્યારે નદી પર પુલ બની જશે. ત્યારે માત્ર 5 કિલોમીટરનું જ અંતર કાપીને સામે ગામ પહોંચી શકાશે.
ગ્રામજનો પુલ માટે ઉઘરાવી રહ્યા છે ફાળો
ગ્રામજનો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા 300 મીટર પહોળી નદી પર લાંબો ડીપ બનાવવા લાખો રૂપિયાની જરૂરિયાત છે. પરંતુ તંત્રની નિક્રિયતાને કારણે સ્થાનિક લોકો 100,200 અને હજાર રૂપિયાના ઉઘરાણા કરીને જાતે જ રસ્તો બનાવવાની નોબત આવી છે. આથી સ્થાનિક લોકોમાં નેતાઓ અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોને વિકાસના દીવાસ્વપ્નો બતાવી મત મેળવનાર નેતાઓ માટે ગામમાં પ્રવેશબંધી કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.