બોપલ નજીક રિંગ રોડ પર 6 મહિના પહેલા તૂટેલા બ્રિજનો સ્લેબ આજ દિન સુધી પૂર્ણ કરાયો નથી. રિપોર્ટના કારણે કામ અટકી જતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
ફ્લાય ઓવરબ્રિજમાં ઢીલુ કામ
આળસુ અધિકારીઓ ક્યારે જાગશે?
રિપોર્ટના કારણે બ્રિજનું કામ ખોરંભે ચઢયું
અમદાવાદના એસ.પી. રિંગરોડ પર બોપલથી શાંતિપુરાને જોડતા માર્ગ પર નિર્માણાધિન બ્રિજ 6 મહિના પહેલા ધરાશાયી થયો હતો. 6 મહિના પહેલા તૂટેલા આ બ્રિજનો રિપોર્ટ ઔડાની આળસના કારણે આજ સુધી આવ્યો નથી. બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. જોકે એક સ્લેબ જોઈન્ટ કરવાનો બાકી છે જેને પગલે વાહન ચાલકોને પીકઅવર્સમાં ભારે ટ્રાફિકનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. આથી લોકોમાં તંત્રની કામગીરી સામે આક્રોશ ફેલાયો છે.
ઔડાની કામગીરી સામે શહેરીજનોમાં અનેક સવાલો
6 મહિના પહેલા તૂટેલા આ બ્રિજના કારણે ઔડાની કામગીરી પર સવાલો ઉભા થયા હતા. ઔડાએ આ બ્રિજનું કામ રણજીત બિલ્ડકોન પ્રાઈવેટ લિમિટેડને આપ્યું હતું. આ જ કંપનીને 2020માં સરકારે બ્લેકલિસ્ટ કરી હતી. 2018માં સમયસર કામગીરી પૂર્ણ ન કરવા બદલ સરકારે 33.51 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. છતાં પણ આ જ કંપનીને બ્રિજનું કામ સોંપતા આ એજન્સી અને તંત્ર ચર્ચામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટ અપાયો તે સમયે બ્રિજનું કામ 30 મહિનામાં પૂર્ણ કરવાનું હતું, એ મુજબ બ્રિજ 4 સપ્ટેમ્બર 2021માં તૈયાર થવો જોઈએ. જોકે આજે પણ એ પણ એક માત્ર રિપોર્ટના કારણે બ્રિજનું કામ ખોરંભે ચઢયું છે.
ઔડાના અધિકારીઓને કામગીરીમાં રસ ન હોય તેવો ઘાટ સર્જાયો
બ્રિજની કામગીરી અને તપાસ રિપોર્ટ રજૂ કરવામાં અધિકારીઓ જવાબદારીથી ભાગી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ઔડાની કચેરીમાં જ્યારે VTV પહોંચ્યું તો જાણવા મળ્યું કે ઔડા ચેરમેન ડી.પી. દેસાઈ વિદેશમાં રજાઓ ગાળી રહ્યા છે. જ્યારે એન્જિનિયર ડિપાર્ટમેન્ટના ત્રિવેદી આ અંગે કંઈ જાણતા ન હોવાનું જણાવી છટકબારી શોધી હતી અને એન.કે. મોદીનો સંપર્ક સાધવા જણાવ્યુ હતું. બીજી તરફ એન.કે. મોદી ફોન જ ન ઉઠાવતા હોવાથી ઔડાના અધિકારીઓને બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં કોઇ રસ ન હોય તેવો ઘાટ સર્જાયો છે.