વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર જાણે પ્રારંભથી જ માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ટ્રેન સાથે ઢોર અથડાવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આજે બુલંદશહેરમાં બ્રેક જામ થઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે વધુ એક દુર્ઘટના
દિલ્હીથી બનારસ જઈ રહેલી ટ્રેનની બ્રેક થઈ જામ
મોટી હોનારત ટળી
મળતી વિગતો પ્રમાણે, દિલ્હીથી બનારસ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની દનકૌર નજીક બ્રેક જામ થઈ ગઈ હતી. જો કે, તાત્કાલિક અસરથી લોકો પાયલટ દ્વારા નજીકના જંક્શન પર જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ 1200 પ્રવાસીઓને દિલ્હીથી ઈસીઆર બનાવીને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
Varanasi Vande Bharat rake has suffered a failure due to a bearing defect in the Traction Motor of C8 coach between the Dankaur and Wair stations of North Central Railway. The bearing jam was rectified with the assistance of NCR team: Indian Railways pic.twitter.com/STOUgAYbET
ઉલ્લેખનીય છે કે, વંદે ભારત એક્સપ્રેસ દિલ્હીથી બનારસ તરફ જઈ રહી હતી. ત્યારે દનકૌર નજીક ટ્રેનની બ્રેક જામ થઈ જવાની ઘટના બનતા પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે, બનાવ અંગેની જાણ થતાં જ ચાલકે એક્સપ્રેસ ટ્રેન રોકી હતી. વંદે ભારત એક્સપ્રેસ રોકાવાની ઘટનાથી અધિકારીઓમાં હડકંપ મચી જવા પામ્યો હતો, જો કે, તાત્કાલિક અસરથી રેલવે કર્મચારીઓ અને અધિકારીઓ એક્સપ્રેસ નજીક પહોંચ્યા હતા અને ટ્રેનને લોકો પાયલટ દ્વારા નજીકના સ્ટેશને લઈ જવામાં આવી હતી.
1200 પ્રવાસીઓ કરી રહ્યા હતા મુસાફરી
એક્સપ્રેસમાં 1200 પ્રવાસીઓને દિલ્હીથી ઈસીઆર બનાવીને શતાબ્દી એક્સપ્રેસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જો કે, અચાનક આ ઘટના બનતા પ્રવાસીઓ સરેરાશ 4 કલાક મોડા બનારસ પહોંચ્યા હતા.
ગુરુવારે અને શુક્રવારે વંદે ભારત એક્સપ્રેસને નડ્યો હતો અકસ્માત
ગુજરાતના મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને ગુરુવારે અકસ્માત નડ્યા બાદ શુક્રવારે પણ અકસ્માત નડ્યો છે. વંદે ભારત ટ્રેનની જ્યારે માઠી બેઠી હોય તેવુ લાગી રહ્યું છે. આ વખતે ગાય સાથે ટ્રેનની ટક્કર થઈ છે. પુરપાટ ઝડપે આવી રહેલી વંદે ભારત ટ્રેન આણંદ સ્ટેશન ખાતે ગાય સાથે અથડાઇ હતી. સાવચેતીના ભાગ રૂપે એન્જિન ડ્રાઇવરે સ્પીડ કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગાય ખૂબ નજીક હોવાથી ટ્રેન સાથે ટક્કર થઈ ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ટ્રેનના આગળના ભાગને સામાન્ય નુકસાન થયું છે.
ગુરુવારે 4 ભેંસો વંદે ભારત ટ્રેન સાથે અથડાઇ હતી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પશુઓનો ત્રાસ રોડ અને રન-વે પર જ નહીં પણ હવે રેલવે ટ્રેક પર પણ જોવા મળ્યો. વંદે ભારત ટ્રેન જે હાઈસ્પીડ ટ્રેન છે અને આ ટ્રેન વચ્ચે ભેંસો આવી જતાં અકસ્માત થયો હતો. ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રેક પર વટવા નજીક 4 ભેંસો આવી જતાં અકસ્માત થયો હતો. જેમાં 4 ભેંસોના મોત થયા હતા. ત્યારે હવે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ભેંસોના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. જોકે, હજુ સુધી રેલવે પોલીસ ભેંસોના માલિકની ઓળખ કરી શકી નથી.
રેલવેના પાટા પર એકાએક આવી ગયું હતું ભેંસોનું ટોળુ
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે આ દુર્ઘટના અમદાવાદના વટવા પાસે બની હતી. વટવા-મણિનગર રેલવેના પાટા પર એકાએક ભેંસોનું ટોળુ આવી ગયું હતું. ભેંસો પાટા પર આવી જતાં ટ્રેન રોકતાં રોકતાં તે અથડાઈ ગઈ હતી. કારણ કે ગાડી ફૂલ સ્પીડમાં હતી. એને એક સામટી બ્રેક લગાવી શકાય તેમ ન હતી. કેમ કે, જો એવું કરે તો ગાડી પાટા પરથી નીચે આવી જાય. તેવામાં યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખીને બ્રેક લગાવાઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં ભેંસો ટ્રેન સાથે અથડાઈ ગઈ. જેમાં ટ્રેનનું આગળનું પ્રોર્શન થોડું ડેમેજ થયું હતું. જેને રિપેર કરીને ટ્રેનને ગાંધીનગર રવાના કરાઈ હતી. જો કે, આ અક્સ્માતમાં ભેંસોના તો રામ જ રમી ગયાં.
રાતોરાત રિપેર થઈ વંદે ભારત ટ્રેન
મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર સુધી જનારી વંદે ભારત એક્સપ્રેસ 6 ઓકટોબરની સવારે 11:18 વાગ્યે વટવા - મણિનગર સ્ટેશન પાસે ભેંસોના ઝુંડનાં ટકરાવાને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ પ્રમિયમ ટ્રેનનાં એન્જિનનો આગળનો ભાગ ટક્કરને કારણે તૂટી ગયો હતો. જોકે, અકસ્માતના એક દિવસ બાદ જ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ રીપેર થઈને ફરીથી પટરી પર ચાલવા લાગી છે. આ ટ્રેનનાં આગળના ભાગને મુંબઈ સેન્ટ્રલ રેલવેના કોચિંગ કેર સેન્ટરમાં ઠીક કરવામાં આવ્યો હતો. રેલવે સીપીઆરઓ સુમિત ઠાકુરે શુક્રવારે જણાવ્યું છે કે ટ્રેનનો માત્ર આગળનો ભાગ જ ક્ષતિગ્રસ્ત થયાઓ હતો, તેના ફંકશનલ પાર્ટને નુકસાન પહોંચ્યું ન હતું.
દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન
આ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે લીલી ઝંડી બતાવી હતી. અગાઉ, બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો નવી દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે ચાલી રહી હતી. આ ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ થઈને મુંબઈ સેન્ટ્રલ જાય છે, પછી આ રૂટ થઈને ગાંધીનગર પરત આવે છે. રેલવે બોર્ડ દેશભરમાં 400 સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. પીએમ મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે વર્ષ 2023 સુધી દેશમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચાલવા લાગશે.