રામાયણ અને મહાભારત સીરિયલ્સ જે રીતે સુપરહિટ થઈ રહી છે તે રીતે અન્ય કોઈ સીરિયલ્સને આવી સફળતા મળી નથી. આ બંને શોઝને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. રામાયણ ટીઆરપીના રેકોર્ડ તોડી રહી છે, ત્યારે મહાભારત પણ પાછળ નથી. રામાયણની જેમ જ આ શોની પણ ખૂબ જ ડિમાન્ડ છે. જેથી મહાભારતની લોકપ્રિયતાને જોતા હવે આ શો અન્ય ચેનલ પર ફરી શરૂ કરવામાં આવશે.
મહાભારતને મળી રહ્યો છે દર્શકોનો ભરપૂર પ્રેમ
હવે બીજી ચેનલ પર પણ ટેલિકાસ્ટ કરવામાં આવશે મહાભારત
લોકડાઉનને કારણે ફરી ટેલિકાસ્ટ થઈ રહ્યાં છે આ શોઝ
તમને જણાવી દઈએ કે, કલર્સ ટીવી પર 4 મેથી મહાભારત ફરી શરૂ કરવામાં આવશે અને સાંજના સમયે આ શો દેખાડવામાં આવશે. દૂરદર્શનના જૂના શોઝથી દર્શકોને જૂના જમાનાની યાદો તાજા કરવાનો મોકો મળી રહ્યો છે, જેથી બધાં ખૂબ જ ખુશ છે.
ઉપરાંત મહાભારતથી આપણે બધાં સદીઓથી શીખ લેતા આવ્યા છે અને હવે આટલા વર્ષો બાદ આ સીરિયલ દ્વારા આજની પેઢીને પણ ઘણું બધું શીખવા મળી રહ્યું છે. એવામાં બધાં જ લોકડાઉનના આ સમયમાં આ જૂના શોઝ જોઈને ખૂબ જ ખુશ છે.
તમને જણાવી દઈએ કે, નીતીશ ભારદ્વાજ, મુકેશ ખન્ના, રૂપા ગાંગુલી, ગજેન્દ્ર ચૌહાણ અને પુનિત ઇસ્સાર સ્ટારર સીરિયલ મહાભારતનું નિર્માણ બીઆર અને રવિ ચોપરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સીરિયલ પહેલીવાર 1988માં ટેલિકાસ્ટ થઈ હતી. આ સીરીયલ તેની સારી સ્ટોરીલાઇન, જોરદાર અભિનય અને ભવ્યતા માટે ખૂબ પ્રખ્યાત હતી. ઉપરાંત લોકોએ તેના કલાકારોને ભગવાનનો દરજ્જો પણ આપ્યો હતો.