25000 ચોરસ ફૂટ જમીનમાં ફેલાયો આ બંગલો
બોલીવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક બી.આર.ચોપરાનો મુંબઇ સ્થિત બંગલો વેચાઇ ગયો છે. 25,000 ચોરસ ફૂટ જમીન પર બનેલો આ બંગલો જુહુ વિસ્તારમાં લગભગ 1 એકર જમીનમાં ફેલાયેલો છે, જેને 183 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, એક રિયલ એસ્ટેટ ડેવલપરે આ બંગલો રવિ ચોપરાની પત્ની અને બીઆર ચોપરાની વહુ રેણુ ચોપરા પાસેથી ખરીદ્યો છે. એક અહેવાલ મુજબ બી.આર.ચોપરાના બંગલાને કે રહેજા કોર્પે 182.76 કરોડમાં ખરીદ્યો છે અને આ સોદા પર હસ્તાક્ષર થયા બાદ કંપનીએ આશરે રૂ.11 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. ડેવલપર્સ ત્યાં પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ ઘર સી પ્રિન્સેસ હોટલની સામે છે, જ્યાંથી બી.આર.ચોપરા પોતાનો બિઝનેસ કરતા હતા.
પ્રોડક્શન હાઉસ બી.આર. ફિલ્મ્સ બનાવ્યું
22 એપ્રિલ, 1914ના રોજ જન્મેલા બલદેવ રાજ ચોપરાની ફિલ્મોમાં રુચિ એક ફિલ્મ પત્રકાર તરીકે શરૂ થઈ હતી. ભાગલા પછી તેઓ દિલ્હી અને પછી મુંબઈ આવી ગયા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત સિને હેરાલ્ડ જર્નલ માટે ફિલ્મ સમીક્ષાઓ લખીને કરી હતી. 1949માં, તેમણે તેમની પ્રથમ ફિલ્મ 'કારવત' નું નિર્માણ કર્યું, જે ફ્લોપ રહી. 1951માં તેમણે 'અફસાના' ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક તરીકે ફરીથી નસીબ અજમાવ્યું, જે બોક્સ ઓફિસ પર મેગાહિટ બની. 1955માં તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ બીઆર ફિલ્મ્સ બનાવ્યું હતું. આ પ્રોડક્શન હાઉસ માટે તેની પહેલી ફિલ્મ 'નયા દૌર' ખૂબ જ સફળ રહી હતી. 2008માં તેમનું અવસાન થયું હતું.
ટીવી શો 'મહાભારત' બનાવ્યો હતો
જણાવી દઈએ કે બીઆર ચોપડાએ જ ટીવી શો 'મહાભારત' બનાવ્યો હતો, જે ખૂબ જ ફેમસ હતો. એવું કહેવામાં આવે છે કે ફ્લોપ ફિલ્મોને કારણે તેમના પ્રોડક્શન હાઉસને નુકસાન થયું હતું. વર્ષ 2013માં તેમના દીકરાએ અનેક લેણદારો દ્વારા આ પ્રોપર્ટીને ક્લીયર કરી હતી. અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે બીઆર ચોપરાનો બંગલો જે વિસ્તારમાં આવેલો છે તે વિસ્તારમાં જમીનનો ભાવ 60,000થી 65,000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ છે.