વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠક યોજાઈ હતી. જેમાં 'વિકસિત ભારત @ 2047 ટીમ ઈન્ડિયાની ભૂમિકા' પર થીમ આધારિત બેઠક પ્રગતિ મેદાન, દિલ્હી ખાતે નવા કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી. આ બેઠકનો 8 રાજ્યોના મુખ્યમંત્રીઓએ બહિષ્કાર કરી બેઠકથી પર રહ્યા હતા. ત્યારે વિપક્ષી પાર્ટીઓના મુખ્યમંત્રીના આ નિર્ણયને લઈને ભાજપ નેતા રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે વિપક્ષી નેતાઓ મોદી વિરોધને પગલે રાજ્યની જનતાને નુકસાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 27, 2023
મોદીના વિરોધમાં તમે ક્યાં સુધી જઈ શકશો?
રવિશંકરે કહ્યું હતું કે દેશના વિકાસની યોજનાઓ માટે નીતિ આયોગની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ત્યારે જે મુખ્યમંત્રી આ બેઠકમાં નથી આવ્યા તેઓએ તેમના રાજ્યના લોકોનો અવાજ અહીં સુધી પહોંચાડવામાં નિષ્ફળ નિવડ્યા છે. ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થાય છે અને નિર્ણયો પર લેવામાં આવતા હોય છે. બાદમાં આ નિર્ણયને સ્થાનિક કક્ષાએ લાગુ કરવામાં આવે છે. પરંતુ આમ છતાં પણ અમુક મુખ્યમંત્રી કેમ નથી આવ્યા ? તે એક સવાલ છે અને મોદીના વિરોધમાં તમે ક્યાં સુધી જઈ શકશો? આ મુખ્યમંત્રી પોતાના રાજ્યની જનતાને કેમ નુકસાન પહોંચાડી રાખ્યા છે તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા.
અમુક વિપક્ષી મુખ્યમંત્રી નીતિ આયોગની બેઠકથી રહ્યા દૂર
નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠક નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવા કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહી છે. આઠ મુખ્યમંત્રીઓ નીતિ આયોગની બેઠકમાં હાજર રહ્યા ન હતા. તેમાં પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી, બિહારના નીતિશ કુમાર, તેલંગાણાના કે ચંદ્રશેખર રાવ, તમિલનાડુના એમકે સ્ટાલિન, રાજસ્થાનના અશોક ગેહલોત અને કેરળના પિનરાઈ વિજયનનો સમાવેશ થાય છે. તો બીજી તરફ દિલ્હીના અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભગવંત માનનો સીધો બહિષ્કાર કર્યો છે.
2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય
નીતિ આયોગના અધ્યક્ષ તરીકે પીએમ મોદીએ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને માળખાકીય વિકાસને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપસ્થિત રહ્યા હતા.