ચીન લદાખ ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી અવળચંડાઇ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર ભારતને કેટલાક ક્ષેત્રો પર ચીની સૈનિકો કબજો કરી રહ્યા છે ત્યારે ગઈકાલે બંને દેશો વચ્ચે યોજાયેલી કમાન્ડર સ્તરની બેઠક બાદ દેશના વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચે ચર્ચા બાદ શાંતિ સ્થાપનાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બંને દેશોના કમાન્ડર વચ્ચે ચુશુલ-મોલ્ડો ક્ષેત્રમાં બેઠક યોજાઈ
બંને પક્ષ વિભિન્ન દ્વિપક્ષીય કરાર અનુસાર શાંતિ સ્થાપના માટે સહમત થયા
સીમા ક્ષેત્રોમાં શાંતિ સ્થાપના માટે સૈન્ય અને રાજદ્વારી વાતચીત યથાવત્ રખાશે
બેઠક બાદ વિદેશ મંત્રાલયનું નિવેદન
લદાખમાં ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ વચ્ચે શનિવારે બંને દેશના કમાન્ડર સ્તરની બેઠક યોજવામાં આવી. આ બેઠક બાદ વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચુશુલ-મોલ્ડો ક્ષેત્રમાં ભારતીય સેનાનાં કમાન્ડર અને ચીનના કમાન્ડર વચ્ચે બેઠક યોજવામાં આવી હતી, આ બેઠક ખૂબ જ શાંતિપૂર્ણ અને સકારાત્મક માહોલમાં યોજાઈ.
શાંતિ સ્થાપના માટે પ્રયત્નો શરુ
વિદેશ મંત્રાલયે બેઠકની જાણકારી આપતા કહ્યું કે હાલના દિવસોમાં ભારત અને ચીન સીમા ક્ષેત્રમાં સારી સ્થિતિ જાળવી રાખવા માટે બંને દેશો વચ્ચે વિવિધ માધ્યમોથી સંચાર કરવામાં આવ્યો હતો. વધુમાં કહેવામાં આવ્યું કે બંને પક્ષ વિભિન્ન દ્વિપક્ષીય કરાર અનુસાર જ શાંતિ સ્થાપના માટે સહમત થયા છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને જોતા ભારત-ચીનની સીમાના વિસ્તારોમાં શાંતિની આવશ્યકતા છે.
રાજદ્વારી સંબંધોને પૂરા થયા 70 વર્ષ
હવે ભારત અને ચીન તણાવને ખતમ કરવા અને સીમા ક્ષેત્રોમાં શાંતિ સ્થાપના માટે સૈન્ય અને રાજદ્વારી વાતચીત યથાવત્ રાખશે. આટલું જ નહીં બંને દેશોએ એમ પણ કહ્યું કે આ વર્ષે બંને દેશોના સંબંધોને 70 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તેથી આ રાજદ્વારી સંબધોને આગળ લઇ જવા માટે વિકાસમાં યોગદાન જરૂરી છે.
ગઈકાલે આપી હતી ધમકી
નોંધનીય છે કે ગઈકાલે જ બંને દેશ વચ્ચે જે બેઠક થઇ હતી તે પહેલા જ સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં ભારતને ધમકી આપવામાં આવી હતી. ગ્લોબલ ટાઈમ્સમાં કહેવામાં આવ્યું હતું કે 'ભારતને ભ્રમ છે કે ભારતે ચીન સામે કૂટનીતિક જીત હાંસલ કરી શકે છે. ભારતને લાગે છે કે ચીન સીમા મુદ્દે ભારતને રાહત આપી શકે છે.'