કથિત લઠ્ઠાકાંડમાં ઝેરી અસરને લઈને ભાવનગર સિવિલમાં સારવાર લેતા વધુ 3 અસરગ્રસ્તોના મૃત્યુ નિપજતા મોતનો આંકડો 36એ પહોંચ્યો છે.
બોટાદના બરવાળામાં કથિત લઠ્ઠાકાંડનો મામલો
ઝેરી દારૂ પિનાર વધુ 3 અસરગ્રસ્તોના મોત
ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
બોટાદના બરવાળામાં થયેલ કથિત લઠ્ઠાકાંડને પગલે દેશ આખો હચમચી ગયો છે. આ પ્રકરણમાં મોતનો ગોઝારો સીલસિલો અટકવાનું નામ ન લેતા રાજ્યભરમાં સનસનાટી મચી ગઈ છે તેવામાં ઝેરી દારૂ પીનારા વધુ 3 અસરગ્રસ્તોના મોતના ખપ્પરમાં હોમાયા હોવાનું સામે આવ્યું છે. ઝેરી અસર થયા બાદ ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા 3 વ્યક્તિઓની સારવાર કરગત ન નિવડતા ત્રણે'યે હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચ્યા હતા. મહત્વનું છે કે, ભાવનગર સિવિલમાં કુલ 13 અસરગ્રસ્તોના મોત નિપજતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. બીજી બાજુ અત્યાર સુધીમાં કથિત લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 36 એ પહોંચ્યો છે.
કથિત લઠ્ઠાકાંડને લઇ CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
કથિત લઠ્ઠાકાંડને લઇ CM ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે 7 કલાકે બોલાવી બેઠક છે, મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવેલ આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ,મુખ્ય સચિવ, રાજ્યના DGP, આરોગ્ય અધિક મુખ્ય સચિવ સહિતના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં ગત મોડી સાંજે બનેલ કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઈને મંથન કરવામાં આવી શકે છે.
DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી
બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ સરકાર હરકતમાં આવી છે અને મુખ્યમંત્રીએ DGP સાથે આ મામલે વાત કરી છે. આ તરફ ગૃહરાજ્યમંત્રીએ પણ ઘટનાની નોંધ લીધી છે. બોટાદમાં લઠ્ઠાકાંડને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરીત તપાસના આદેશ આપ્યા છે. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે. FSLને પણ દારૂની અસર થયેલા લોકોના તેમજ મૃતકોના સેમ્પલ આપવામાં આવ્યા છે જે બાદ જ મૃત્યુનું સાચુ કારણ આધિકારિક રીતે બહાર આવી શકે છે.