રોજીદના પરમાર પરિવારની દયનિય સ્થિતિ, એક પરિવારમાંથી 3 અર્થી ઉઠતા પરિવાર પરિવાર ન રહ્યો..!
દારૂએ છિનવી જીંદગી
રોજીદ ગામમાં એક પરિવારમાં 3ના મૃત્યુ
3 લોકોના મૃત્યુ થતાં શોકનો માહોલ
બોટાદ કથિત લઠ્ઠાકાંડ.. એવી વાસ્તવિકતા જેણે દારૂબંધીના મોડેલ સ્ટેટ એવા ગુજરાતને હાસિયામાં ધકેલી દીધું, બોટાદ કથિત લઠ્ઠાકાંડ.. એવી હકીકત જેણે સરકાર, વિપક્ષ, પોલીસ કે તંત્રને ઉંધમાંથી જગાડી દોડતા કરી દીધા. બોટાદ કથિત લઠ્ઠાકાંડ.. એ 40થી વધુ મોત પૂરતો સીમિત નથી. એ મોત પાછળ અનેક પરિવારોના આક્રંદનો છૂપાયેલો છે, કોઈએ પિતા ગુમાવ્યો છે તો કોઈ પતિ, કોઈએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે તો કોઈએ જુવાનધોધ 2 દિકરા.. રોજીદ ગામમાં જ 11 અર્થી છે આવા તો ઢગલાબંધ ગામો છે જ્યાં મોતનો માતમ જ માતમ છે.
લઠ્ઠાકાંડ બાદ પરિવારની દયનીય સ્થિતિ
વાત છે રોજીદ ગામના પરમાર પરિવારની, જે એક ઝાટકે વિખેરાઈ ગયો, અરે હવે તો એવી દશા આવીને બેઠી છે કે પરિવારને પરિવાર કેમ કહેવો તે પ્રશ્ન થઈ રહ્યો છે. એક પરિવારના 3 લોકો ઝેરી દારૂ પિતા મોતને ભેટયા છે. વશરામભાઇ પરમાર, શાંતિભાઈ અને દીપક પરમારે દમ તોડતા બાળકો નોંધારા બન્યા છે, પત્ની સુહાગ વિનાની. બસ અજંપા ભરી શાંતિ છે પોતાના જવાનું દૂખ પોતાના હૈયામાં લઈ બેઠેલી પત્ની પતિને યાદ કરી રડી રહી છે. ગળે ડૂમો ભરાયેલા અવાજમાં બહેન વ્યથા વ્યક્ત કરતા કહી રહ્યા છે કે હાથમજૂરીનું કામ કરી ભાઈ થાકી જતો હતો. કોઈ દિવસ ગટર સાફ કરવા જતો હતો તો કોઈ દિવસ કચરો ભરવા, સાંજે આવે એટલે થાક ઉતારવા કોઈ દિવસ દેશી દારૂ પી લેતા હતા. આ પરમાર પરિવારમાં કમાવવા વાળો ઘરનો મોભી જતો રહ્યો છે. ખાવા વાળા 2 બાળકો સહિત મૃતકની પત્ની, તેના માતા-પિતા છે જે ઘરડા છે કામ કરવાની સ્થિતિમાં નથી.
નાના ભૂલકા બાળકોને ખબર નથી કે તેના પિતાએ દુનિયામાં નથી, પત્ની હજુ સુધી આઘાતમાંથી બહાર આવી નથી. મા-બાપના રડી રડીને બેહાલ થઈ ગયા છે. અત્યારથી રોજનું કમાઈ રોજ ખાનાર પરિવારને મુશ્કેલી શરૂ થઈ ગઈ છે. બસ એક ફોટો લઈ પરિવાર ડૂસકાં ભરી રહ્યો છે. કદાચ રાહ જોઈ રહ્યો છે કે કયારે વ્હાલસોયો પાછો આવે..! માતા સાથે વાત કરી તો પહેલા તેમના આંખમાંથી આસુ સરી પડ્યા કહેવા લાગ્યા કે મારુ કોઈ પાછળ રહ્યું નથી.. મારે એકનો એક છોકરો હતો. કમાવવાળૂ પણ કોઈ છે નહીં.. હું પણ મજૂરી કરી શકે તેવી હાલતમાં નથી.મારો ઘરવાળોએ કમાય એવો નથી..અરે મોટી તકલીફ તો તે છે કે રહેવા ઘર પણ નથી તેઓ મામા ઘરે જીવન ગુજારી રહ્યા છે. ત્રણ પરણિત બહેનો છે પણ સાસરે રહે છે.
સરકાર પાસે મદદની ગુહાર
સરકાર પાસે આ પરમાર પરિવાર મદદની આશ લઈને બેઠો છે. કે છોકરીઓના ભણતર ગણતર માટે પૂરતી મદદ કરે. ઘર બનાવવા પણ સહાય કરે અને પરિવારને પગભર થવા રોજગારની વ્યવસ્થા કરે. કથિત લઠ્ઠાકાંડના કારણે આવા ન જાણે કેટલાય પરિવાર બેઘર થઈ ગયા છે. એક મોત પાછળ અનેક જિંદગી બરબાદ થઈ ગઈ છે. ત્યારે સરકાર ઝડપથી લઠ્ઠાકાંડમાં મૃતકોના પરિવારને સહાય કરે તેવી આશાથી પરિવાર આગળની જિંદગીનું વિચારી વિચારતા દિવસ રાત મરી રહ્યો છે.