રાજકોટના કુંબલિયાપરામાં મહિલાઓ દારૂની ભઠ્ઠીઓ ચલાવતી હતી, બુટલેગર મહિલાઓ કહ્યું અમારે આ બદીમાંથી બહાર આવવુ છે સરકાર મદદ કરે
રાજકોટમાં મહિલા બુટલેગરની અંત:સ્ફૂરણા
સરકાર પાસે કરી મદદની માગ
મજબૂરીમાં વેચે છે દારૂ
બોટાદ લઠ્ઠાંકાડ બાદ રાજકોટના કુંબલિયાપરા વિસ્તારમાં VTVની ટીમ પહોંચી છે. આ વિસ્તાર દારૂ વેચાણ માટે બદનામ થયો છે, ત્યારે આ વિસ્તારની મહિલા બુટલેગરોએ દારૂનો ધંધો બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે, અત્યારે તેમણે દારૂની ભઠ્ઠીઓ બંધ કરી છે. બોટાદ લઠ્ઠાકાંડને લઇ આ ભઠ્ઠીઓ બંધ કરવામાં આવી છે. આગળ મહિલા બુટલેગરે જણાવ્યું કે, દારૂની દૂષમાંથી બહાર નીકળવા સરકાર પાસે સહાયની માગ કરી છે.
આ ધંધો નથી કરવો સરકાર સહાય કરે નહિતર ભૂખ્યા મરીશું: મહિલા બુટલેગર
કુંબલિયાપરા વિસ્તારની મહિલા બુટલેગરનું કહેવું છે કે અમારે કોઈ આગળ પાછળ કોઈ છે નહીં, કોઈ જ આધાર નથી. સરકાર અમને રેકડી કે તોલકાંટા આપે અમે આ દૂષણમાંથી મુક્ત થવા માંગીએ છીએ. સરકારને અપીલ કરતાં કહ્યું કે રોજના 100 200 મળે તેવો ધંધો કરવા સહાય કરી તે માટે જગ્યા આપે. અમે આવું કરવા માંગતા નથી પણ ના કરીએ તો ભૂખ્યા મરવાનો વારો આવે છે. અભણ છીએ બીજો કોઈ ધંધાની આવડત નથી. અમે મજૂરી પણ કરવા તૈયાર છીએ પણ સરકાર તે માટે પ્રોત્સાહન આપે.
રાજકોટમાં ડ્રોન વડે દારૂના અડ્ડા પર નજર
બોટાદ બરવાળા કેમિકલ કાંડ પછી રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટમાં પણ હવે ડ્રોન કેમેરા દ્વારા કુંબલિયાપરા કીરીટપરા, રૈયાધાર વિસ્તારમાં દારૂની ડ્રાઈવ કરવામાં આવી છે. જંગલેશ્વર, છોટુનગરમાં પણ દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.
કથિત લઠ્ઠાકાંડમાં કુલ મૃત્યુઆંક 46 થયો
તો બીજી તરફ બરવાળા કથિત લઠ્ઠાકાંડમાં વધુ 3 દર્દીના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 46 થયો છે. બોટાદમાં 33 અને ધંધુકામાં 13 લોકોના ઝેરી દારૂએ જીવ લીધો છે. લઠ્ઠાકાંડમાં 93 દર્દીઓને સારવાર હેઠળ લેવામાં આવ્યા હતા જેમાંથી હાલ સુધીમાં 83 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભાવનગર ખાતે 10 દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. લઠ્ઠાકાંડમાં બરવાળા, રાણપુર અને ધંધુકામાં 14 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તમામની ધરપકડ કરી લેવામાં આવી છે તેમજ કોર્ટમાં હાજર કરી રિમાન્ડ પણ મંજૂર કરી લેવામાં આવ્યા છે.