ગઢડા ગોપિનાથ મંદિરની ટેમ્પલ બોર્ડની બેઠકમાં રમેશ ભગત પહોંચ્યા હતા, જ્યાં જૂના મારામારીના કેસમાં રમેશ ભગતની ધરપકડ કરાઈ
ગઢડા ગોપીનાથજી મંદિરના વિવાદનો મામલો
આચાર્ય પક્ષના ટ્રસ્ટી રમેશ ભગતની ધરપકડ
ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની બેઠકમાં આવ્યા હતા રમેશ ભગત
ગઢડા ગોપીનાથજી મંદિરના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. આજે ટેમ્પલ બોર્ડની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં હાજર રહેવા માટે રમેશ ભગત પણ આવ્યા હતા. પરંતુ રમેશ ભગતને બેઠક સુધી પહોંચવા દીધા નહોતા. પોલીસ દ્વારા તેમની ધરપકડ કરાઈ હતી. જે બાદ જામીન પર રમેશ ભગતને છોડી પણ દેવાયા હતા.
Vtv સાથે રમેશ ભગતે કરી વાત
ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના ટ્રસ્ટી અને પાર્ષદ રમેશ ભગતની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. Vtv સાથે વાત કરતા રમેશ ભગતે કહ્યું, હું ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની બેઠક હાજર રહેવા આવ્યો હતો. તે દરમિયાન મારી અટકાયત કરવામાં આવી છે. એ શા માટે કરી મને પણ ખ્યાલ નથી. પણ અમારા એજન્ડા પ્રમાણે દર મહિને અમારી ટ્રસ્ટીઓની મિટીંગ મળતી હોય છે. ત્યારે આજરોજ ગઢડા ગોપીનાથજી મંદિરની ઓફિસમાં ટ્રસ્ટીઓની બેઠક હતી.
આ બેઠકમાં હાજરી આપવા હું જતો હતો. અને અત્યારે મને જામીન આપીને છૂટો પણ કરી દીધો છે. હવે અમે હાઇકોર્ટમાં આ મામલે પહોંચીશું. પરંતુ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, 6 ડિસેમ્બરેમાં ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ ધાકધમકી આપ્યાની ટ્રસ્ટી રમેશ ભગત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરીયાદમાં રમેશ ભગતની ધરપકડ બાકી હતી. જે બાબતે પોલીસે ટ્રસ્ટી રમેશ ભગતની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.
પોલીસની કામગીરીને લઈ આક્ષેપ
રમેશ ભગતની આજે ધરપકડના કારણે આક્ષેપ-પ્રતિઆક્ષેપો શરૂ થઈ ગયા છે. આચાર્ય પક્ષના ટ્રસ્ટી રમેશ ભગતની ધરપકડ થતા દેવ પક્ષના હરિજીવન સ્વામી પર આક્ષેપ લાગ્યા છે. પોલીસની મદદ લઈ રમેશ ભગતને બેઠકમાં જતા રોકવાનો આક્ષેપ કર્યો છે. રમેશ ભગત બેઠકમાં કોઈ વિરોધ દર્શાવી ન શકે. તેના કારણે તેમની ધરપકડ કરાઈ હોવાનો આરોપ લગાવ્યો છે.
6 ડિસેમ્બરના દિવસે સર્જાયો હતો વિવાદ
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં 6 ડિસેમ્બરના રોજ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. મંદિર વહીવટી તંત્રમાં પરિવર્તન કરી રમેશ ભગતને નવા ચેરમેન બનાવામાં આવ્યાં છે. ત્યારે નોન કોરમ મુજબ ટ્રસ્ટી તરીકે હરિજીવન સ્વામીને દૂર કરાયાં હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સત્તાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. હરિજીવન સ્વામી પર 21 કરોડની ઉચાપતનો આક્ષેપ લગાવામાં આવ્યો છે.
ગોપીનાથજી ટ્રસ્ટમાં વિવાદ શું છે?
ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં 16 વર્ષે ચૂંટણી થઈ હતી. મે 2019માં થયેલી ચૂંટણીમાં દેવપક્ષમી જીત થઈ હતી અને આચાર્યપક્ષની હાર થઈ હતી. કુલ 7 બેઠકો પર ચૂંટણી થઈ હતી જેમાં 5 બેઠકો દેવપક્ષે જીતીને ઉલટફેર કર્યો હતો. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં સંચલાન માટે આઝાદી પહેલાથી ચૂંટણીઓ થતી આવી છે. 2003થી ગોપીનાથજી મંદિર પર આચાર્યપક્ષની સત્તા હતી અને ચૂંટણી થઈ જ ન હતી. ગોપીનાથજી મંદિરમાં ચૂંટણીનો મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમકોર્ટે નિવૃત્ત જજની નિમણૂંક કરી હતી અને ચૂંટણીના આદેશ આપ્યા હતા. આચાર્ય પક્ષ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીનું સમર્થન કરે છે. પરિણામોમાં આચાર્ય પક્ષને હરાવીને દેવ પક્ષે મંદિરનું સંચાલન સંભાળ્યું હતું. 22મી નવેમ્બરે જનરલ મિટિંગ યોજવાની હતી પરંતુ મિટિંગ થઈ ન શકી. ચેરીટી કમિશનરે જનરલ મિટિંગ માટે એજન્ડા પણ બહાર પાડ્યો હતો. ચેરીટી કમિશનરે આચાર્ય પક્ષના ત્રણ ટ્રસ્ટીઓની તરફેણમાં ઠરાવ પસાર કર્યો હતો.