વીમા ઇન્સ્યોરન્સ કંપની પાસે એક વેપારીએ રૂપિયા પડાવવા માટે ભૂતિયા પુત્રને દર્શાવતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. વેપારીએ પુત્રને માત્ર કાગળ પર જન્મ આપીને કાગળ પર મૃત્યુ થયું હોવાનું જણાવીને બે અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ૫૩ લાખ રૂપિયા લેવા માટેનો ક્લેમ કર્યો હતો. ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ તપાસ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો છે.
વીમા ઇન્સ્યોરન્સ કંપની પાસે એક વેપારીએ રૂપિયા પડાવવા માટે ભૂતિયા પુત્રને દર્શાવતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. વેપારીએ પુત્રને માત્ર કાગળ પર જન્મ આપીને કાગળ પર મૃત્યુ થયું હોવાનું જણાવીને બે અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી ૫૩ લાખ રૂપિયા લેવા માટેનો ક્લેમ કર્યો હતો. ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ તપાસ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો છે. ગાંધીનગરમાં આવેલ રિલાયન્સ નિપોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે કામ કરતા દિપાંગભાઇ ધરમપાલે ગાંધીનગર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ખેડામાં રહેતા હર્ષદભાઇ બારોટ, બાયડ તાલુકામાં રહેતાં ઇન્દુબહેન વાળંદ, મંયક ભાવસાર, ગાંધીનગરમાં રહેતા મહેશજી ઠાકોર અને પોપટજી ઠાકોર વિરુદ્ધમાં છેતરપિંડી અને વિશ્વાસધાતની ફરિયાદ કરી છે.
હર્ષદભાઇએ તેમના પુત્ર વિશ્વાસના નામે વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪માં બે વીમા પોલિસી રિલાયન્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીની લીધી હતી. ઇન્દુબહેન વાળંદ, મયંક ભાવસાર અને મહેશજી ઠાકોર તેમજ પોપટજી ઠકોરની સામે હર્ષદભાઇ બારોટે વીમા પોલિસીની અરજીમાં સહીઓ કરી હતી અને તેમના જરૂરી દસ્તવેજો રજૂ કર્યા હતા. જ્યારે કંપનીના કર્મચારીઓએ પણ વીમા પોલિસીમાં સહી કરી હતી. રિલાયન્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓના વેરીફિકેશન બાદ હર્ષદભાઇ બારોટે વર્ષ ૨૦૧૩માં ૨૬ હજાર રૂપિયા અને વર્ષ ૨૦૧૪માં ૫૦ હજાર રૂપિયા ચેકથી વીમા પોલિસીના ભર્યા હતા.
જો વિશ્વાસનું કુદરતી કે આકસ્મિક મૃત્યુ થાય તો હર્ષદભાઇને બે પોલિસીના ૨૨ લાખ રૂપિયા વીમા કંપનીને ચૂકવવા પડે. તારીખ ૦૧.૦૬.૨૦૧૭ના રોજ વિશ્વાસનું મૃત્યુ થતાં તારીખ ૧૬.૦૨.૨૦૧૮ના રોજ હર્ષદભાઇએ વીમા પોલિસીની રકમ લેવા માટે ક્લેમ દાખલ કર્યો હતો. હર્ષદભાઇએ વિશ્વાસના મોતને લઇને મૃત્યુનું સર્ટીફિકેટ, હોસ્પિટલમાં લીધેલ સારવાર રિપોર્ટ તેમજ લોહીનાં પરીક્ષણના રીપોર્ટ રજૂ કર્યા હતા.
હર્ષદભાઇએ મરણનું કારણ દર્શાવ્યું છે કે વિશ્વાસ બાયડ તાલુકાના મોટી જહેરથી ૩૫ કિલોમીટર દૂર ટોટુ ગામમાં ક્રિકેટ રમવા માટે ગયો હતો. જ્યાં તેને બ્રેઇન સ્ટ્રોક આવતાં તેનું ઘટના સ્થળ મોત થયું હતું. વિશ્વાસના મોત અંગે દિપાંગભાઇને શંકા જતાં તેમણે તપાસ શરૂ કરી હતી અને એક એક પુરાવા રજૂ કરવા માટે અલગ અલગ લોકોને તેમજ વિવિધ ગવર્નમેન્ટના વિભાગોને મળ્યા હતા.
દિપાંગભાઇએ તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે વીમા પોલીસીના રૂપિયા લેવા માટે હર્ષદભાઇએ વિશ્વાસ નામના પુત્રને માત્ર કાગળ પર જન્મ આપીને કાગળ પર મૃત્યુ પામ્યાનું સામે આવ્યું હતું. દિપાંગભાઇએ વધુમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે હર્ષદભાઇએ બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વિશ્વાસના નામે ૨૨ લાખની અને આઠ લાખની પોલિસી લીધી હતી. હર્ષદભાઇએ રૂપિયા કમાવવા માટે વિશ્વાસના નામે કુલ ૫૩ લાખ રૂપિયાની વીમા પોલિસી લઇ લીધી હતી.
આ સિવાય તેમના બે પુત્ર મિતેષ અને ક્રિશની પોલિસી હર્ષદભાઇએ લીધી નથી. ગાંધીનગરની કોર્ટે તમામ પુરાવાઓ તપાસ કરતા હર્ષદભાઇ સહિત તેમની સાથે સંકળાયેલા તમામ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટે ગાંધીનગર સેક્ટર સાત પોલીસને આદેશ કર્યો છે.
ગામના રહીશોએ ભાંડો ફોડ્યો
ખેડાના મોટી જહેર ગામમાં રહેતાં સવિતાબહેન, જયંતીભાઇ પટેલ, ભાનુભાઇ બારોટ, નટુભાઇ, અરજણભાઇ સહિતના અન્ય લોકોને પૂછતાં હર્ષદભાઇને માત્ર મિતેષ અને ક્રિશ નામના પુત્ર હોવાનો ધટસ્ફોટ કર્યો હતો અને વિશ્વાસ નામનો કોઇ પુત્ર નહીં હોવાનું જણાવ્યું હતું.
આંગણવાડી વર્કરે વિશ્વાસને જોયો નથી
દિપાંગભાઇ આંગણવાડીની વર્કર શર્મિષ્ઠાબહેન દરજીને પૂછપરછ કરી હતી. જેમાં તેમણે કબૂલ્યું હતું કે આંગણવાડીના રજીસ્ટરમાં વિશ્વાસનું નામ બતાવે છે પરંતુ તેને ક્યારેય જોયો નથી.
તલાટી કમ મંત્રીએ મરણની નોંધ કરવાની ના પાડી
હર્ષદભાઇ મોટી જહેર ગામ ખાતે તલાટી કમ મંત્રી પાસે વિશ્વાસના મોતની નોંધણી કરાવવા માટે ગયા હતા જોકે હર્ષદભાઇના બે પુત્રો હોવાથી તેમણે નોંધ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
સાત મહિનામાં ત્રણ પુત્રના જન્મ
હર્ષદભાઇએ આંગણવાડીનું રજિસ્ટર તપાસતાં હર્ષદભાઇએ માત્ર સાત મહિનામાં ત્રણ પુત્રોના જન્મ બતાવ્યા હતા.
પુત્ર જન્મ તારીખ
મિતેશ ૩૧-૧૦-૨૦૦૨
વિશ્વાસ ૦૨-૦૧-૨૦૦૩
ક્રિશ ૧૦-૦૫-૨૦૦૩