ઉનાળાની શરૂઆત થઈ ચૂક્યા છે ત્યારે રાજ્યના દરેક ખૂણામાંથી પાણીનો પોકાર ઉઠવા લાગ્યો છે. જો કે આમાંના કેટલાક વિસ્તારમાં સમસ્યા કુદરતદત્ત નથી પરંતુ વ્યવસ્થાના અભાવે પણ ઉભી થેયેલી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં વર્ષો અગાઉ કરોડોના ખર્ચે બોરીસાવર અને ડોલવણ જૂથ પાણીપુરવઠા યોજના અમલમાં મૂકાઈ છે પરંતુ તેના નીર છેવાડાના ગામ સુધી પહોંચ્યા નથી.
તાપી જિલ્લામાં પાણીની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે, જિલ્લામાં સરકાર દ્વારા દીર્ઘ દ્રષ્ટિ રાખી બનાવમાં આવેલ કરોડો રૂપિયાની પાણી પુરવઠાની યોજનાઓ આજે ધૂળ ખાઈ રહી છે, જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ 80 કરોડના ખર્ચે 4 વર્ષ અગાઉ બનેલ બોરીસાવર જૂથ પાણી પુરવઠા યોજના હોય કે પછી ડોલવણ જૂથ પાણી પુરવઠા યોજના હોય, હજુ સુધી આવી તોતિંગી યોજનાનો લાભ તેના લાભાર્થીઓને ન મળતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પીવાના પાણી માટે લોકોએ દર દર ઠોકર ખાવી પડી રહી છે.
નરેન્દ્ર મોદી હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ દ્વારા ડોલવણ જૂથ પાણી પુરવઠા યોજનાનું વર્ષ 2002માં જેતે સમયના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોક કલ્યાણ અર્થે શરુ કરેલ આ યોજના થકી 25થી વધુ ગામોને પીવાનું પાણી મળવાનું હતું. પરંતુ સરકારનો ઉદેશ્ય આજે 17 વર્ષ બાદ પણ પરી પૂર્ણ થયો નથી. એજ રીતે સોનગઢ તાલુકાના 80 જેટલા ગામોને પીવાનું પાણી મળી રહે તે ઉદેશ્યથી બોરીસાવાર જૂથ પાણી પુરવઠા યોજના 2014-15ના વર્ષમાં શરુ કરાઈ હતી. પરંતુ તેનો લાભ લેવા હજારો લોકો તરસી રહ્યા છે. જિલ્લામાં ઉકાઈ ડેમ હોવા છતાં લોકો પાણી માટે ફાંફા મારી રહ્યા છે, તો કેટલાકે તો પોતાનો રૂઢિગત વ્યવસાય એવી ખેતી આ મહિનાઓ દરમ્યાન કરવાનું ટાળી રહ્યા છે.
લાખો કરોડો રૂપિયાની તોતિંગી ટાંકી નકામી
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના 25થી વધુ ગામોની પીવાના પાણીની જરૂરિયાતોને સંતોષાવાને માટે ગુજરાત સરકાર દ્વારા ડોલવણના પાટી ગામે સોડ લાખ લીટરની પાણીની ટાકી બનવાનું નક્કી કરી વર્ષ 2002માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહર્ત કરાવાયું હતું. લાખો કરોડો રૂપિયાની તોતિંગી ટાકી પણ બની. પરંતુ મોટેભાગના ગામોને આજે પણ પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે. તેવીજ પરિસ્થિતિ સોનગઢ તાલુકાના દુમદા સહિતના 80 જેટલા ગામોની છે. જ્યાં બોરીસાવાર જૂથ પાણી પુરવઠા યોજના આશરે 80 લાખના ખર્ચે બની પણ તે પણ ગ્રામજનો માટે બિન ઉપયોગી સાબિત થઇ રહી છે. જેની વારંવારની સ્થાનિક આગેવાનોની રજૂઆતો નિરર્થક સાબિત થઇ રહી છે.
ડિસેમ્બર જાન્યુઆરી માસથી જ પીવાના પાણી માટે વલખા
દિનપ્રતિદિન ડોલવણના પૂર્વના ગામોની પાણીની પરિસ્થિતિ વિકટ બનતી જાય છે, તેવીજ પરિસ્થિતિ સોનગઢના 80 જેટલા ગામોની છે. આ ગામોમાં કરોડો રૂપિયાની સરકારી યોજનાઓ હોવા છતાં ગ્રામજનોએ ડિસેમ્બર જાન્યુઆરી માસથી જ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. જેને લઈ આજ સુધી સરકારનો ઉદેશ્ય પરિપૂર્ણ થયો નથી. લોકો આજે પણ ઉનાળાના આકાર દિવસોમાં પાણી માટે વલખા મારી રહ્યા છે. સરકારે તેને દૂર કરવા માટે પણ અનેકવિધ યોજનાઓ થકી પ્રયાસો કર્યા છે. પરંતુ તે અધિકારીઓ, સ્થાનિક નેતાગીરીની આળસને કારણે તેના ખરા લાભાર્થીઓ આજે લાભથી વંચિત રહી જતા હોય છે, અહીં પણ કંઈક આવુજ બની રહ્યું છે. સરકારની કરોડોની પાણી પુરવઠા યોજના આજે ધૂળ ખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. લોકો પાણી માટે દર દર ભટકી રહ્યા છે.