દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તેમની પોતાની માલિકીનું એક ઘર હોય. આ સપનાને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં આવાસ યોજના શરુ કરી હતી.
આ યોજનામાં સમય સમય ઉપર રાજ્યોમાં ઘરના બુકીંગની પ્રક્રિયા કરાવવામાં આવતી હતી.
આ અંતર્ગત ઉત્તર પ્રદેશ હાઉસિંગ ડેવલપમેન્ટ કાઉન્સિલે 1 સપ્ટેમ્બરથી રાજ્યના 19 શહેરોમાં 3516 પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો માટે બુકિંગ ચાલુ કર્યા છે. બુકિંગ માટેની ઓનલાઇન અરજી 15 ઓક્ટોબર સુધી કરી શકાય છે.
આ શહેરોમાં મળી રહ્યા છે ઘરો
યુપીની રાજધાની લખનૌમાં 816 ઘરોની બુકિંગ થશે. આ ઉપરાંત ગાઝિયાબાદમાં 624, મેરઠમાં 480, ગોંડામાં 396 મકાનોનું બુકીંગ કરાશે. તે જ સમયે, મૈનપુરી, ફતેહપુર, હરદોઇ, રાયબરેલી અને મેરઠમાં 96 ઘરો માટે બુકીંગ કરાશે. કાનપુર દેહાત, કન્નૌજ, ઉન્નાવ, બહરાઇચ, મઉ, બલરામપુર, અને બારાબંકીનો પણ આ સૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
કોણ આ મકાનો ખરીદી શકશે?
તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ગરીબો ફક્ત 3.50 લાખ રૂપિયામાં મકાનો ખરીદી શકશે. આ બુકિંગ અંતર્ગત ફક્ત તેમને જ મકાન મળશે, જેમની વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી ઓછી છે. તેમણે આ રકમ 3 વર્ષમાં પરત આપવી પડશે. ઘરની સાઈઝ વિશે વાત કરીએ તો કાર્પેટ એરિયા 22.22 ચોરસ મીટર છે અને સુપર એરિયા 34.07 ચોરસ મીટર છે.