અમદાવાદ કંટ્રોલ રૂમમાં કોઇ અજાણ્યા શખ્સે ધમકી ભર્યો કોલ કરતાં દોડધામ મચી હતી. ફોનમાં શખ્સે ત્રણ દિવસમાં બોમ્બ બ્લાસ્ટ કરી BRTS બસ સ્ટેશન ઉડાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે તપાસમાં ફોન કરનાર વ્યક્તિની ઓળખ બહાર આવી છે.
શખ્સે ફોન પર કહ્યું હતું કે, નેહરુનગરની તમામ બસો ઉડાવી દેવામાં આવશે. અજાણ્યા ફોન કોલ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એસઓજી પોલીસે તપાસ હાથ ધરી હતી અને શહેરમાં મહત્વના BRTS સ્ટેશન પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતુ.
જ્યારે તપાસ કરતા માલુમ પડ્યું કે ફોન કરનાર વ્યક્તિ 22 વર્ષનો યુવાન છે. જેનું નામ મહમદ આસિફ શેખ છે. આ યુવક માનસિક રીતે બીમાર છે અને તેની વીએસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. યુવકે ફોનમાં કબૂલાત કરી છે કે, તેણે આ ધમકી ભર્યો ફોન કર્યો હતો. ત્યારે પોલીસે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ 2008માં પણ અમદાવાદમાં નેહરુનગર પાસે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. એ સમયે 11થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ફરી એક વખત બોમ્બ બ્લાસ્ટની ધમકીથી પોલીસતંત્ર સાબદુ થઇ ગયું છે અને ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરી છે.