મુંબઇઃ જાણીતા ગાયક કલાકાર ઉદિત નારાયણના દીકરા અને ગાયક આદિત્ય નારાયણે મુંબઇમાં અકસ્માત કર્યો હતો. આદિત્યએ મર્સીડીઝ કારથી એક રીક્ષાને અડફેટે લીધી હતી. આ કેસમાં મોડીરાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે જામીન પર આદિત્ય નારાયણનો છુટકારો થયો હતો.
અકસ્માત લોખંડવાલા નજીક ઇન્દ્રલોક બિલ્ડીંગ પાસે થયો હતો. જેમાં રીક્ષા ચાલકને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જયારે રીક્ષામાં સવાર એક મહિલાને ઇજા પહોંચી હતી. મળતી વિગતો મુજબ આદિત્ય નારાયણે બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે પહોંચાડ્યા હતા. હાલ આદિત્ય નારાયણની કાર પોલીસે કબ્જે કરી છે. અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પહેલા પણ વિવાદોમાં સપડાયા હતા આદિત્ય નારાયણ
ગયા વર્ષે ઓક્ટોબરમાં આદિત્યને એક એરલાઇન્સ સ્ટાફ મેમ્બરને ધમકાવવા અને આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કરતો એક વીડિયો સામે આવ્યો હતો.
જો કે રાયપુર એરપોર્ટ પર વધુ પડતા સામાનના મુદ્દે આદિત્ય અને ઇન્ડિગો કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યારબાદ આદિત્ય દ્વારા ઇન્ડિગો કર્મચારીઓને જોઇ લેવાની ધમકી આપી હતી.