અક્ષય કુમારે અસમ પૂરપીડિતોની મદદ માટે ચીફ મિનિસ્ટર રિલીફ ફંડ અને કાઝીરંગ નેશનલ પાર્કના રેસ્ક્યૂ ઑપરેશન્સને 2 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. પોતાની ફિલ્મ Mission Mangal ના ટ્રેલર લૉન્ચ સમયે એક રિપોર્ટરે અક્ષયને માનવીની સાથે સાથે જાનવરોના ભલા વિશે વિચારવાના વખાણ કર્યા હતાં.
મિશન મંગલના ટ્રેલર લૉન્ચમાં જ્યારે અક્ષયના આ ડૉનેશન વિશે સવાલ કરાયો તો ઍક્ટરે મજાકમાં કહ્યું કે મૅમ, મારી પાસે બહુ પૈસા છે. ત્યાર બાદ ગંભીર થઈને અક્ષયે કહ્યું કે મેં થોડાં દિવસ પહેલાં એક તસવીર જોઈ હતી જેમાં એક મહિલા પોતાના બાળકને લઈને પાણીમાંથી નીકળી રહી હતી. આ માટે હું પોતાની જાતને નસીબદાર માનું છે કે મારી સાથે આવી કોઈ ઘટના નથી બની. જ્યારે મેં આ તસવીર જોઈ તો મને થયું કે આવું મારી સાથે પણ થઈ શકે છે. મારી પત્ની અને દીકરીની સાથે પણ આવું થઈ શકે છે.
અક્ષયે જણાવ્યું કે કેવી રીતે છાતી સુધી ભરાયેલા પાણીમાં તે મહિલા પોતાના બાળકને ખભા પર લઈને જઈ રહી હતી. અક્ષયે કહ્યું કે તે માત્ર પૂર વિશે ટ્વિટ કરવા નથી માંગતો, પરંતુ બને તેટલી મદદ કરવા માંગું છું. અક્ષયે ફિલ્મની ઇવેન્ટમાં આવેલા મીડિયાના તમામ લોકોને પણ ટ્વિટર પર ભેગાં થવાને બદલે હકીકતમાં યોગદાન આપવાની અપીલ કરી હતી.
બોલીવુડ સુપરસ્ટારે કહ્યું કે મારે આવી તકલીફમાં માત્ર રિએક્ટ નથી કરવું અને So Sad ટ્વિટર પર નથી નાંખવું. હું તમને અપીલ કરીશ કે આવું બધું ન લખો અને કંઈક કરો. એ પછી એક નાની રકમ હોય કે પછી 25 લાખ કેમ ન હોય કે પછી 25 કરોડ. જેટલું આપી શકો એટલું આપો. આ વિશે ટ્વિટ કરવું, સો સેડ, ગૉડ બ્લેસ એવરીવન જેવી આવી બધી લાઈનો લખવાનું બંધ કરો. આ માટે નક્કર કંઈક કરો.
અક્ષયના ફિલ્મી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો તે જલ્દીથી ફિલ્મ મિશન મંગલમાં નજર આવશે જે ભારતના પ્રથમ મંગળયાનની કહાની છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન, તાપસી પન્નૂ, સોનાક્ષી સિંહા, શરમન જોશી, કીર્તિ કુલ્હાર અને નિત્યા મેનન છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે.