જાણીતા અભિનેતા સની દેઓલને તમે ફિલ્મી પડતા પર ડાયલોગ બોલતા તો જોયા હશે. પણ હવે સની દેઓલ ચૂંટણી સભા અને નારેબાજી કરતા પણ જોવા મળશે. કારણ કે 36 વર્ષથી સિનેમાની દુનિયામાં રાજ કરનાર આ સ્ટારે હવે ભાજપનો ખેસ પહેરી લીધો છે.
અક્ષય કુમાર ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓ સામે આવી રહી હતી. તેઓ બોલીવુડ છોડીને રાજકારણમાં એન્ટ્રી મારી શકતા નજરે આવશે તેવી ચર્ચા ચાલી રહી હતી. ત્યારબાદથી જ તેમના ચાહકો દ્વારા સોશિયલ મીડિયા પર પ્રશ્નો કરવામાં આવી રહ્યા હતા કે શું તેઓ રાજકારણમાં જઇ રહ્યા છે? શું તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. શું તેમને દિલ્હીથી ભાજપની ટિકિટ મળી ગઇ છે? પરંતુ થોડીક્ષણો બાદ જ અક્ષય કુમારે એક ટ્વિટ કરીને જણાવ્યું કે જે પણ શક્યતાઓ લગાવાય રહી છે તે હવામાં છે. તેઓ કોઇ ચૂંટણી લડવા નથી જઇ રહ્યા. પરંતુ અક્ષય કુમારના બદલે અચાનક સની દેઓલની ભાજપમાં એન્ટ્રી કેમ થઇ?
Grateful for all the interest shown in my previous tweet but just clarifying in light of some wild speculation, I am not contesting elections.
સાડા ત્રણ દાયકાની ફિલ્મી સફર, 100થી વધુ ફિલ્મોમાં અભિનય, બે નેશનલ ફિલ્મ એવોર્ડ અને બે ફિલ્મ ફેર એવોર્ડ સિનેમાની કલાકાર સની દેઓલની અત્યાર સુધીના આ ઓળખ છે. 1983ના વર્ષમાં ફિલ્મ બેતાબથી શરૂ થયેલી સફર હજુ પણ અટકી નથી. પણ હવે સની દેઓલે જીવનમાં એક મોટો નિર્ણય લીધો છે. પિતા ધર્મેન્દ્ર અને સાવકી માતા હેમા માલીનીના પગલા પર ચાલીને સની દેઓલે રાજકારણમાં પગલુ મુક્યું. ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો.
અમિત શાહ સાથે કરી હતી 5 મિનિટ મુલાકાત
બે દિવસ પહેલાની આ તસ્વીર છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. સમાચારો હતા કે સની દેઓલ અને અમિત શાહ વચ્ચે મહારાષ્ટ્રના પૂણે એરપોર્ટ પર મુલાકાત થઇ હતી. મુલાકાત તો માત્ર પાંચ જ મિનિટની હતી. પણ આટલો ઓછો સમય કદાચ સની દેઓલ માટે પુરતો હશે. એટલે જ તો અમિત શાહ સાથેની મુલાકાતના 48 કલાકમાં જ એક નવા પડાવની શરૂઆતનો સનીએ નિર્ણય લઇ લીધો. મીડિયા સમક્ષ આવેલા સની દેઓલને પત્રકારોએ સવાલ કર્યો, કે ભાજપમાં જોડાવવાનું કારણ શું? તો સનીએ એક પળનો પણ વિચાર કર્યા વગર ભાજપ સાથે જૂનો નાતો હોવાનો જવાબ આપી દિધો.
ગુરદારપુરથી લડી શકે છે લોકસભા
સૂત્રો દ્વારા જાણકારી એ પણ સામે આવી છે કે સની દેઓલને ભાજપ પંજાબના ગુરદારપુરથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી શકે છે. આ બેઠક પર વર્ષ 2014માં ભાજપ તરફથી અભિનેતા વિનોદ ખન્ના ચૂંટણી લડ્યા હતા. તેમનો વિજય પણ થયો હતો. પણ વિનોદ ખન્નાના નિધન બાદ ભાજપ એવા કોઇ ચહેરાની શોધમાં હતી, જે પંજાબનો હોય અને દેશભરમાં લોકપ્રિય પણ હોય. દિલ્હીના રાજકારણમાં ચર્ચા થઇ રહી હતી કે ગુરદાસપુરથી ભાજપ અક્ષય કુમારને ટિકિટ આપી શકે છે. પણ અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા છે. કદાચ આ જ કારણે ખેલાડી કુમારના સ્થાને ભાજપને સની દેઓલની પસંદગી કરી હોઇ શકે છે. પણ ફિલ્મી પડદા પર શૌર્ય બતાવનાર સની, રાજકીય રણમાં કેટલા પાવરધા સાબિત થાય છે તે જોવું રહ્યું.