શનિવારે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક કેમિકલ પ્લાન્ટમાં બોઈલરમાં ધડાકો થયો હતો જેમાં 5 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. ઉમરેડ તહસીલના બેલા ગામે આવેલી માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ફેક્ટરીમાં બપોરે 2 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. મૃતકના પરિવારજનોએ ફેક્ટરી મેનેજમેન્ટ પર ખંડણીનો આરોપ લગાવ્યો છે અને લાશ લેવાની ના પાડી છે.
નાગપુર જિલ્લામાં એક કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ
5 લોકોના કમકમાટીભર્યા મોત
બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોની ઓળખ મંગેશ પ્રભાકર નૌકારકર (21), લીલાધર વામનરાવ શિંદે (42), વસુદેવ લાડી (30), સચિન પ્રકાશ વાઘમારે (24) અને પ્રતાપ પાંડુરંગ મૂન (25) તરીકે થઇ છે. તે બધા બુડગાંવના રહેવાસી હતા. પોલીસે કહ્યું કે સચિન ફેક્ટરીમાં વેલ્ડરનું કામ કરતો હતો, બાકીના મદદગાર હતા.
કેમિકલ અને ઇથેનોલ તૈયાર કરાતા હતા ફેક્ટરીમાં
આપને જણાવી દઇએ કે, અહીં વાઇન બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ અને ઇથેનોલ તૈયાર કરાતા હતા. આજે ટાંકી પાસે વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન તેમાંથી ગેસ લીક હતો અને તેમાં અચાનક આગ પકડવાના કારણે તેમાં બ્લાસ્ટ થયો હતો. મૃત્યુ પામેલા તમામ કામદારોને કોન્ટ્રાક્ટ ઉપર લાવવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇને નાગપુરના પોલીસ અધિક્ષક રાકેશ ઓલા અને ઉમરેડના કોંગ્રેસના ધારાસભ્ય રાજુ પરવે હાજર રહ્યા હતા.