સંસ્કારી નગરી વડોદરામાં ગરીબોના હક છીનવતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં ખુદ સરકારી ઓફિસો જ સંડોવાયેલી છે. આવકના બોગસ દાખલા કાઢી ગરીબોના હક પર તરાપ મુકવામાં આવતી હતી. ત્યારે શું છે આ કૌભાંડ અને કેવી રીતે તેને આપવામાં આવતો હતો અંજામ?
સંસ્કારી નગરી વડોદરામાં સામે આવ્યું કૌભાંડ
ખોટા દાખલાથી મા કાર્ડનું કૌભાંડ
અર્બન હેલ્થ સેન્ટરમાં જ કાવાદાવા
સંસ્કારી નગરી વડોદરામાં આજવા રોડ પર આવેલા સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટરમાં અસંસ્કારી કામ કરવામાં આવ્યું છે. આ હેલ્થ સેન્ટરમાં આવકના ખોટા દાખલા કાઢવામાં આવતા હતા અને તેના આધારે 35 લોકોના ખોટી રીતે મા કાર્ડ કાઢવામાં આવ્યા હતા. આ મામલે ડીસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચિરાગ પટેલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. આ અર્બન હેલ્થ સેન્ટરમાં મા કાર્ડ કાઢવાનો કોન્ટ્રાક્ટ તંત્ર ઓમ ઈમેજિનરિંગ એજન્સીને સોંપ્યો હતો. આ એજન્સીએ ખોટી રીતે આવકના દાખલા આપ્યા હતા. દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતા આવકના ખોટા દાખલા મળી આવ્યા હતા. આ મામલે જ્યારે મામલતદાર કચેરીએ સંપર્ક કરવામાં આવ્યો અને આવકના દાખલાની ખરાઈ કરવામાં આવી તો સામે આવ્યું કે દાખલા કાઢવામાં આવ્યા જ નથી.
ક્રાઈમ બ્રાંચે દલાલોને ઝડપ્યા
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે તપાસ કરી. ખોટી રીતે મા કાર્ડ કાઢવનાર 35 લોકોના નિવેદન નોંધ્યા. જેમાં 7 દલાલોના પણ નામ સામે આવ્યા છે. જેમાં મનીષ પટેલ, મનોજ સોની, નરેશ, જીતુ, પ્રવીણ રબારી અને સતીશ નામ મળી આવ્યા છે. જેમાંથી 3 દલાલો મનોજ સોની, નરેશ દલવાડી અને જીતેન્દ્ર ચાવડાની ધરપકડ કરી છે. માં કાર્ડ કાઢતા ખાનગી એજન્સીનો આરોપી કર્મચારી પ્રવીણ રબારી મુખ્ય સૂત્રધાર છે જે હાલ ફરાર છે.
હાલમાં પોલીસે અન્ય ફરાર દલાલોને શોધવાની કવાયત શરૂ કરી છે. સાથે જ અત્યાર સુધી કાઢવામાં આવેલા માં કાર્ડ માટે સોંપેલા તમામ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે.
એક રિસર્ચ મુજબ વડોદરા જિલ્લામાં 3 લાખ પરિવારો પાસે મા કાર્ડ છે. તેના 15 લાખ જેટલા લાભાર્થીઓ છે. શહેરના તમામ 35 અર્બન હેલ્થ સેન્ટર પરથી આ મા કાર્ડ કાઢી આપવામાં આવે છે. ત્યારે હાલ આ બોગસ મા કાર્ડ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ બહુ મોટું કૌભાંડ તો નથીને તે દિશામાં તપાસ હાથ ધરી છે.