ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના પુત્રનો જાસપુર કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનો પુત્ર છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો. ર૩ વર્ષના જયરાજે પોતાના પિતરાઈ ભાઈને હું આત્મહત્યા કરવા જઉં છું તેવો છેલ્લો મેસેજ કર્યો હતો.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર જયરાજસિંહના મૃતદેહ પર ઇજાનાં નિશાન મળી આવ્યાં છે, જેથી તેની હત્યા થઇ હોવાની પણ આશંકા છે. હાલમાં જયરાજસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જયરાજસિંહનું ડૂબવાથી મૃત્યુ થયું છે કે તેની હત્યા કરીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો તે જાણવા મળશે.
શૈલેન્દ્રસિંહ બિહોલાના પુત્ર જયરાજસિંહે સોમવારે છેલ્લી વાર મારું મોં જોવું હોય તો કેનાલ આવી જાવ તેવો મેસેજ પિતરાઈ ભાઈના ફોન પર કર્યો હતો. ત્યારબાદ જયરાજસિંહ ગુમ થઈ ગયો હતો અને તેનું બાઈક કેનાલ પાસેથી મળી આવતાં સોમવાર રાતથી જ શંકાના આધારે ફાયર બ્રિગેડ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઈ હતી.
જયરાજસિંહ કેનાલમાં કૂદયો હોવાની શંકાના આધારે ફાયર બ્રિગેડે સોમવાર રાતથી જ તેની શોધખોળ શરૂ કરી હતી, જોકે કંઈ હાથ લાગ્યું ન હતું ત્યારે આજે ફાયર બ્રિગેડની ટીમે સતત બે દિવસ કેનાલમાં તેની શોધખોળ કરતાં આજે જાસપુર કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.