બે દિવસની શોધખોળ બાદ કેનાલમાંથી યુવકનો મળ્યો મૃતદેહ
વેલેન્ટાઈનના એક દિવસ અગાઉ 13 ફેબ્રુઆરીએ ગાંધીનગરના વેહલાલ ગામેથી પ્રેમી યુવકના અપહરણ બાદ આજે તેનો મૃતદેહ મળ્યો છે. બે દિવસની ભારી શોધખોળ બાદ યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે. બે દિવસ સુધી કેનાલમાં રહેલા મૃતદેહ ખરાબ હાલતમાં મળ્યો છે.
શું છે સમગ્ર મામલો
વેલેન્ટાઈનના એક દિવસ અગાઉ ગાંધીનગર જિલ્લાના વેહલાલ ગામના રહીશ પ્રેમી પંખીડા ફરવા ગયા અને પરિવારને જાણ થતા પ્રેમિકાના પરિવારે પ્રેમીનુ અપહરણ કર્યું હતું. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જે બાદ યુવકને કેનાલ નજીક લઈ જઈ ધક્કો મારી દીધો હતો. પોલીસને ઘટનાની જાણ થયા બાદ યુવકની કેનાલમાં શોધખોળ શરૂ કરાઈ હતી. સાથે પોલીસે આ કેસમાં પ્રેમિકાના માતા-પિતા સહિત ચાર વ્યકિતની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં થઈ હતી કેદ
સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસે યુવતીના પરિવારજનોની ધરપકડ કરી હતી. વહેલાલ ગામમાં રહેતો 21 વર્ષીય જીગ્નેશસિંહ પરમારનું તેના ગામમાં રહેતી એક સગીરા સાથે છેલ્લા છ માસથી પ્રેમ સંબંધ હતો. બન્ને પ્રેમી-પંખીડા વેલેન્ટાઈનના એક દિવસ અગાઉ બાઈક પર ફરવા નીકળ્યા. ત્યારે સગીરાનો પરિવાર જોઈ જતા તેમને રસ્તામાં અટકાવ્યા. યુવકને બળજબરીથી ગાડીમાં ઉઠાવીને લઈ ગયા હતા. અને યુવકને નર્મદા કેનાલમાં ધક્કો મારી દીધો હતો.
પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ
આ ઘટનાની જાણ કુષ્ણનગર પોલીસને થતા પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓ એક જ પરિવારના સભ્યો છે. જેમાં સગીરાના પિતા છત્રસિંહ પરમાર, માતા વિભાબેન પરમાર, કાકા દિલીપસિંહ પરમાર અને પિતરાઈ ભાઈ અજીતસિંહની ધરપકડ પોલીસે કરી છે.