રાજ્યના હેલ્થ મિનિસ્ટર ટીએસ સિંહ દેવે જણાવ્યું કે હાલત ગંભીર છે. કેસોમાં વધારો થયો છે. પોઝિટીવીટી રેટમાં વધારો થયો છે. કેન્દ્ર સરકારે જે વેન્ટિલેટર્સ મોકલ્યાં છે તે કામ કરતા નથી. કોરોના કેસો વધવાને કારણે શબઘરમાં મોટી સંખ્યામાં મૃતદેહો પડ્યાં છે. ઘણા જિલ્લાની સ્થિતિ ખૂબ ડરાવણી થઈ છે. રાયપુરમાં છેલ્લા બે દિવસથી રોજના 100 કરતા વધારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાઈ રહ્યાં છે.
શબઘરમાં મૃતદેહોના ઢગલા ખડકાયા
રાજ્યની સૌથી મોટી હોસ્પિટલ ડોક્ટર ભીમરાવ આંબેડકર હોસ્પિટલના શબઘરમાં મૃતદેહોના ઢગલા ખડકાયા છે. રાયપુરમાં સ્મશાન ઘાટની સંખ્યા પણ વધારાઈ રહી છે. સોશિયલ મીડિયા પર હોસ્પિટલની કેટલીક તસવીર વાઈરલ થઈ હતી જેમાં સ્ટ્રેચર પર રખાયેલી લાશ જોઈ શકાતી હતી.
બેંગ્લુરમાં કલમ 144 લાગુ
દરેક રાજ્ય સરકાર કોરોનાના નાથવા માટે પોતપોતાની રીતે પગલાં ભરી રહી છે. તેમાં હવે વધુ એક રાજ્ય સરકારનો ઉમેરો થયો છે. કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે બેંગ્લુરમાં કલમ 144 લાગુ પાડી દીધી છે. સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યમાં સ્વિમિંગ પુલ, જિમ, પાર્ટી પ્લોટ અને રહેણાંકના કોમ્પલેક્સના કામકાજ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બેંગ્લુરુ પોલીસ કમિશનર કમલ પંતે તમામ પ્રકારની રેલીઓ, પ્રદર્શન, જાહેર મેળાવડા, કાર્યક્રમો તથા પ્રાર્થના પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ચંદીગઢમાં પણ નાઈટ કર્ફ્યુ
ચંદીગઢમાં પણ નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. પંજાબની અમરિન્દર સિંહ સરકાર દ્વારા જારી થયેલા આદેશાનુસર સમગ્ર રાજ્યમાં 30 એપ્રિલ સુધી રાતના 9 થી વહેલી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ અમલી રહેશે. રાજ્ય સરકારે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય મેળાવડા કે કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર રાજકીય નેતાઓ તથા લોકોની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ એન્ડ એપિડેમિક્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરાશે.