યુપીના કન્નોજ, ઉન્નાવ,કાનપુર,રાયબરેલી અને હવે પ્રયાગરાજમાં ગંગા કિનારેની રેતીમાં સેંકડો લાશો દફનાવાઈ હોવાનો એક આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
ગંગા કિનારાના 1100 કિમીના વિસ્તારમાં 2,000 લાશો દફનાવાઈ
લાશોની દફનવિધિ બાદ તેની ચારેબાજુએ વાંસની લાકડીઓ રોપી દેવાઈ
તમામ લાશો કોરોનાના મરેલા લોકોની હોવાનો શક
મીડિયા રિપોર્ટ અનુસાર ગંગા કિનારે આવેલા કન્નોજ, ઉન્નાવ,કાનપુર,રાયબરેલી, પ્રયાગરાજના 1100 કિમીના વિસ્તારમાં 2,000 કરતા પણ વધારે લાશો દફનાવાઈ છે.
લાશોની દફનવિધિ બાદ તેની ચારેબાજુએ વાંસની લાકડીઓ રોપી દેવાઈ છે જેથી કરીને કોઈને પણ ખબર પડે કે અહીં લાશોની દફનવિધિ કરાઈ છે.
કન્નોજ છે દફન છે 350 કરતા પણ વધારે લાશો
કન્નોજના મહાદેવી ગંગા ઘાટ નજીક લગભગ 350 લાશો દફન છે. પ્રશાસન દ્વારા લાશો પર માટી નાખવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હશે. ઘાટ પર કાર્યરત એક કર્મચારીએ જણાવ્યું કે ગંગામાં પૂર આવતા દફનાવાયેલી લાશો બહાર આવી જાય છે. અને અહીંથી બીજા જિલ્લામાં તણાઈ જાય છે.
કાનપુરમાં 400 લાશો
યુપીના મોટા શહેર કાનપુરના શેરેશ્વર ઘાટ નજીક 400 લાશો દફન છે. કેટલાક લાશોને તો કાગડા-કૂતરા ચુંથી રહ્યાં હોવાનું પણ જણાયું હતું. ઘટનાની જાણ થતા પોલીસે દરેક લાશ પર માટી નાખવાનું શરુ કરી દીધું હતું.
ઉન્નાવની રેતમાં દફન છે 900 કરતા પણ વધારે લાશો
કોરોનાકાળનું સૌથી મોટું કબ્રસ્તાન ઉન્નાવ શહેર બન્યું છે. ઉન્નાવના શુક્લાગંજ ઘાટ અને બક્સર ઘાટ નજીક 900 કરતા પણ વધારે લાશો દફન છે. ઉન્નાવ નજીકના ફતેહપુરમાં પણ ગંગા કિનારે 20 લાશ દફનાવાઈ હોવાનું જણાયું હતું .