મુંબઇ ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો દરિયાના કિનારે જવાનું ટાળજો. જી હા તમને થશે કે મુંબઇ જઇને દરિયા કિનારે ના જવાય તો શું ફાયદો.. પરંતુ દરિયા કિનારે મજા માણવા આવનારા લોકો જેલીફિશોના ઝેરના કારણે ઘાયલ થઇ રહ્યા છે. આ ઘટનાને કારણે સરકારે એક એડવાઈઝરી જાહેર કરીને લોકોને દરિયા પર ન જવા માટે કહ્યું છે.
વાસ્તવમાં મુંબઈના દરિયા કિનારે બ્લૂ બોટલ જેલીફિશ મોટી સંખ્યામાં જોવા મળી છે. દરિયા કિનારે ફરવા આવેલા ઘણા લોકોને આ માછલીએ ડંખ મારવાની ઘટનાથી ટૂરિસ્ટો ભયમાં છે. કહેવાઈ રહ્યું છે કે જૂહુ અક્સા અને ગિરગામ ચોપાટી બીચો પર મોટી સંખ્યામાં જેલીફિશો જોવા મળી છે. અહીં ઘણા લોકો જેલીફિશના ઝેરનો શિકાર થયા છે.
જાણકારોના મત મુજબ દર વર્ષે મોનસુન સમયે દરિયા કિનારા પર રિપ્રોડક્શન માટે જેલીફિશ આવે છે. તેમના સંપર્કમાં આવનારા બોડી પાર્ટ્સમાં દુખાવો થાય છે કેટલાક કિસ્સાઓમાં તે અંગ જ ખોટું પડી જાય છે. આટલું જ નહીં ઘણા કિસ્સાઓમાં તો લોકોને બહેરાશની ફરિયાદ મળી છે. મુંબઈમાં પાછલા કેટલાક દિવસોમાં 20 લોકો આ ઝેરી માછલીઓનો શિકાર બન્યા છે.
આ વિશે વાત કરતા રાજ્યના ફિશરિઝ ડિપાર્ટમેન્ટના કમિશનરે કહ્યું કે જેલીફિશના સંપર્કના આવતા વ્યક્તિને તે ડંખ મારી શકે છે. ડંખના કારણે શરીરનો તે ભાગ લાલ થઈ જાય છે અને ત્યાં બળતરા થાય છે. અંધાપો આવી શકે અથવા ડંખ મારનારો ભાગ ખોટો પડી શકે છે. આવા સમયે ડંખવાળી જગ્યાએ વિનેગર અથવા ગરમ પાણી નાખવું જોઈએ. જો દુખાવો વધારે થાય તો આ વ્યક્તિને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવો જોઈએ.