સરકારે આપેલા ઓર્ડર મુજબ અત્યાર સુધીમાં ધો. 1થી 12માં અભ્યાસ કરતાં રાજ્યના જુદા-જુદા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે 290 સેટ એટલે કે 2000 જેટલા પુસ્તકો તૈયાર થઇ ગયા છે ને વધુ બની રહ્યા છે. આ પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરાય છે.
પાઠ્યપુસ્તકોના અભાવે પ્રજ્ઞાચક્ષુઓ માટે ભણવાનું ખૂબ અઘરૂં બનતું હોય છે. ભણવાની ઇચ્છા હોવા છતાં નેત્રહિન બાળકો વધુ ભણી શકતા નથી. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના પાઠ્યપુસ્તકો અત્યાર સુધી બ્રેઇલ લિપિમાં ઉપલબ્ધ ન હતા પરંતુ નવા સત્રથી પહેલી જ વખત આવા પુસ્તકો નેત્રહિન બાળકોને મળવા લાગ્યા છે. કચ્છના માધાપરમાં આવેલા નવચેતન અંધજન મંડળ દ્વારા આવા પુસ્તકો તૈયાર કરાઇ રહ્યા છે, અમુક શાળાના નેત્રહિન વિદ્યાર્થીઓને તે મળી પણ ગયા છે.
સરકારે આપેલા ઓર્ડર મુજબ અત્યાર સુધીમાં ધો. 1થી 12માં અભ્યાસ કરતાં રાજ્યના જુદા-જુદા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે 290 સેટ એટલે કે 2000 જેટલા પુસ્તકો તૈયાર થઇ ગયા છે ને વધુ બની રહ્યા છે. આ પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરાય છે. સંસ્થામાં ભારત સરકારની રૂા. 17 લાખની ગ્રાન્ટમાંથી જર્મન બનાવટનું ઇન્ટર પોઇન્ટ 55 નામનું મશીન વસાવાયું છે. જે કલાકમાં 2000 પાના તૈયાર કરે છે.
બ્રેઇલ પુસ્તકના એક પાનામાં 26 લાઇનો અને વધુમાં વધુ 40 અક્ષરો સમાવી શકાય છે. એક પાનાનું વજન 11 ગ્રામ અને આખા પુસ્તકનું વજન અંદાજે 500થી 600 ગ્રામનું હોય છે. આ પુસ્તકો કચ્છ ઉપરાંત રાજ્યના રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, વલસાડ, સાબરકાંઠા જેવા જિલ્લાઓના વિદ્યાર્થીઓને અપાયા છે. આ જિલ્લાની વિવિધ સંસ્થા અને શાળાઓએ પુસ્તકો માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ સંસ્થા દ્વારા લોકસભાની ચૂંટણી વખતે પ્રજ્ઞાચક્ષુ મતદાતાઓ માટે યુનિવર્સલ વોટર સ્લીપ તૈયાર કરાઇ હતી. જેના થકી નેત્રહિન મતદાતાઓ સહેલાઇથી પોતાની જાતે જ મતદાન કરી શક્યા હતા. આ ઉપરાંત આ સંસ્થાની બ્રેઇલ લાયબ્રેરીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેના પુસ્તકો પણ બને છે. બ્રેઇલમાં તો પુસ્તકો છે જ પરંતુ બાળકો પુસ્તકો વાંચવાના બદલ સાંભળી શકે તે માટે ઓડિયો પુસ્તકો પણ તૈયાર કરવામાં આવે છે. હવે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને બ્રેઇલમાં પાઠ્યપુસ્તકો મળતાં થયા હોવાથી અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ દૂર થઇને તેઓ સહેલાઇથી ભણી શકશે.