પંજાબના અમૃતસરમાં નિરંકારી ડેરા પર થયેલા બ્લાસ્ટમાં પંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા એચ.એસ.ફુલ્કાએ વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાયુ છે.
એચ.એસ.ફુલ્કાએ જણાવ્યું કે સેનાધ્યક્ષ બિપીન રાવતે પંજાબમાં આવીને કહ્યું હતું કે રાજ્યમાં આતંકી હુમલાની દહેશત છે. બની શકે છે કે તેઓએ જ તેમના માણસો દ્વારા બ્લાસ્ટ કરાવ્યો હોય. જેથી પોતાનું નિવેદન ખોટુ સાબિત ના થાય.
તો ફુલ્કાના આ નિવેદનને કોંગ્રેસે વખોડ્યો છે. પંજાબ કોંગ્રેસના પ્રવક્તા રાજકુમાર વેરકાએ ફુલ્કાને માનસિક રીતે અસ્વસ્થ ગણાવતા કહ્યું કે આર્મી ચીફ અને સેના આપણી શાન છે. તેમના વિશે આ પ્રકારનું નિવેદન આપીને ફુલ્કાએ દેશની સેના અને આર્મી ચીફનું અપમાન કર્યું છે.
કોંગ્રેસે ફુલ્કાને માફી માગવાની પણ માગ કરી છે. ઉલ્લેખનીય છે કે અમૃતસરના એક ગામમાં રવિવારે નિરંકારી ડેરા પર બ્લાસ્ટ થયો છે. જેમાં ત્રણના મોત અને 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઘટનાના પગલે નેશનલ ઈન્વેસ્ટીગેશન ટીમ પણ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બરના રોજ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે એક સેમિનારમાં કહ્યું હતું કે પંજાબમાં આતંકવાદને પુનર્જિવીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જો જલ્દી કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઘણું મોડુ થઇ જશે.