મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં થયેલા કૌભાંડનાં વિવાદમાં દિવસે ને દિવસે નવા ફણગાં ફૂટતાં જાય છે. મોરબી જિલ્લાનાં સિંચાઈ કૌભાંડમાં ભાજપનાં મહામંત્રી ઘનશ્યામ ગોહિલનું નામ ઉછળ્યું હતું.
જેમ તેમણે આ કૌભાંડ અંગે બે પત્ર ઉચ્ચકક્ષાએ લખ્યાં હતાં. જેમાં એક પત્રમાં સિંચાઈ કૌભાંડને ઉજાગર કર્યું હતું તે પછીનાં બીજા પત્રમાં કોઈ કૌભાંડ થયું ન હોવાનું અને બધું જ ઓકે હોય તેમ લખ્યું હતું.
આ બંને પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયાં બાદ તેમની સિંચાઈ કૌભાંડમાં શંકાસ્પદ ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે તેમને ચાર્જશીટમાં શકમંદ આરોપી તરીકે પણ દર્શાવ્યાં હતાં. જો કે પોલીસ પાસે હજુ સુધીમાં તેમનાં વિરુદ્ધ નક્કર પુરાવાં મળ્યાં ન હોવાંથી પોલીસે તેમની ધરપકડ કરી નથી.
ચાર્જશીટમાં નામ આવ્યાં બાદ પણ તેઓ દિલ્હી ખાતે ભાજપનાં રાષ્ટ્રીય અધિવેશનમાં હાજર રહ્યાં હતાં. પુરાવાનાં અભાવે ખુલ્લેઆમ ફરતા આ ભાજપ અગ્રણીને લઈને પોલીસ અને ભાજપ પર ભારે માછલાઓ ધોવાઈ રહ્યાં છે.
મોરબી જિલ્લાની નાની સિંચાઇ યોજનામાં કરોડો રૂપિયાનાં થયેલ કૌભાંડમાં અગાઉ પોલીસે પૂર્વ સિંચાઈ ઈજનેર અને કન્સલ્ટન્ટની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ સિંચાઈ કૌભાંડમાં હળવદની માલણીયાદ મજૂર મંડળીની સંડોવણી પણ ખૂલી હતી.
આ મજૂર મંડળીનાં બે હોદ્દેદારોની પણ ધરપકડ કરાઈ હતી. આ અરસામાં સિંચાઈ કૌભાંડને વિધાનસભામાં ઉજાગર ન કરવા બદલ પૂર્વ સિંચાઈ ઈજનેર સહિતનાં કૌભાંડીઓ પાસેથી કોંગ્રેસનાં હળવદ ધ્રાંગધ્રા સીટનાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને તેમનાં સહયોગી ગણેશિયાએ કથિત લાખો રૂપિયાની લાંચ લીધાની એક ઓડિયો કલીપ વાઇરલ થયો હતો.
જેમાં પૂછપરછ માટે બોલાવીને પોલીસે કોંગ્રેસનાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને તેમનાં સરયોગી ભરત ગણેશિયાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ હળવદ સ્થિત મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલની પણ સંડોવણી ખુલી હતી અને પોલીસે ચાર્જશીટમાં શકમંદ આરોપી ઘનશ્યામ ગોહિલનું નામ સમાવ્યું હતું.
પરંતુ પોલીસે આ આરોપીને ભાગેડું જાહેર કર્યા બાદ પણ ખુલ્લેઆમ ફરીને દિલ્હી ખાતેનાં ભાજપનાં અધિવેશનમાં હાજરી આપતાં આક્ષેપોએ ગરમી પકડી છે. આ આક્ષેપોનાં જવાબમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે.
સિંચાઈ કૌભાંડમાં ભાજપ રાજકીય કિન્નાખોરી રાખીને કોંગ્રેસનાં ધારાસભ્યની ધરપકડ કરી છે અને આ કૌભાંડમાં ભાજપે ભલભલા ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવું જાહેર કર્યું હતું. ત્યારે હવે ભાજપનાં આ વગદાર નેતાની સંડોવણી ખૂલી છે અને તેમનું નામ ચાર્જશીટમાં પણ છે.
છતાં ભાજપ કેમ ચૂપ છે. જો ભાજપ નિષ્ઠા અને કાયદામાં માનતો હોય તો પોતાનાં પક્ષનાં નેતાની ધરપકડ કરાવીને નીતિ સ્પષ્ટ કરે તે જરૂરી છે આવા સૂર જનતામાંથી સંભળાઈ રહ્યો છે.